Site icon Revoi.in

ભારત સાથે સારા સંબંધોની દોડમાં પાછળ રહ્યું છે બ્રિટન : બ્રિટિશ સંસદીય રિપોર્ટ

Social Share

બ્રિટિશ સંસદીય તપાસ રિપોર્ટમાં સોમવારે ચેતવણી આપવામાં આવી છે કે બ્રિટન ભારત સાથે માત્ર સારા સંબંધોની દોડમાં જ પાછળ પડી રહ્યું નથી, પરંતુ તે દુનિયામાં ભારતની વધતી શક્તિ અને પ્રભાવ પ્રમાણે પોતાની રણનીતિઓમાં ફેરફાર કરવામાં પણ અસફળ રહ્યું છે.

બ્રિટન-ભારત સપ્તાહ 2019ની શરૂઆત પહેલા બ્રિટિશ સંસદમાં પહેલા ભારત દિવસ પ્રસંગે બિલ્ડિંગ બ્રિઝેઝ- રીઅવેકનિંગ યુકે-ઈન્ડિયા ટાઈજ- નામથી આ રિપોર્ટ આવ્યો છે. બંને દેશો વચ્ચે સંબંધોને ફરીથી સારા બનાવવામાં મહત્વ ધરાવતા આ રિપોર્ટમાં ભારતીય પર્યટકો, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે સારી વીઝા અને ઈમિગ્રેશન નીતિ બનાવવાના સંદર્ભે સુધારણા લાવવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટમાં બ્રિટન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે દ્વિપક્ષીય સંબંધોનો અવસર ગુમાવી રહ્યું છે.

બ્રિટિશ સંસદીય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉભરતા ભારતની સાથે સારા સંબંધોની વૈશ્વિક દોડમાં બ્રિટન પાછળ રહ્યું છે, ભારતની સાથે બ્રિટિશ સંબંધોની તાજેતરની કહાની ગુમાવાયેલા અવસરોની ગાથા છે.

તેમા કહેવામાં આવ્યું છે કે ભારતની સાથે સંબંધો સુધારવા માટે સરકારે કેટલાક નક્કર પગલા ઉઠાવવા પડશે, ખાસ કરીને તેમણે ભારતીયો માટે બ્રિટનની યાત્રા, અહીં કામ કરવું અને અભ્યાસ કરવાનું સરળ બનાવવું પડશે. વીઝાના મામલામાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન જેવા બિનલોકશાહી દેશના મુકાબલે ભારતને વધારે કડક નિયમોનું પાલન કરવું પડે છે.

સંસદીય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવી ઈમિગ્રેશન પોલિસીના પક્ષમાં કોઈ તર્ક આપી શકાય તેમ નથી કે જેને કાણે ભારતીય સ્ટૂડન્ટ્સ અને પર્યટકોનું આકર્ષણ દેશ પ્રત્યે ખતમ થઈ રહ્યું છે. સ્ટૂડન્ટ્સ અને પર્યટક માત્ર આપણી અર્થવ્યવસ્થામાં યોગદાન જ આપતા નથી, પરંતુ તેમના દ્વારા લાંબા ગાળાના દ્વિપક્ષીય સંબંધ પણ વિકસિત થાય છે.

બ્રિટિશ સંસદીય રિપોર્ટમાં જો કે એમ પણ માનવામાં આવ્યું છે કે તમામ દ્રષ્ટિથી બ્રિટન આ દ્વિપક્ષીય સંબંધથી લાભ લેવાની સ્થિતિમાં છે. પરંતુ તેણે ચેતવણી પણ આપી છે કે બંને દેશો પોતાની પૂર્ણ ક્ષમતાઓના ઉપયોગ એટલા માટે કરી શકતા નથી, કારણ કે નવી દિલ્હીને યોગ્ય સંદેશ પહોંચી રહ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેવામાં જ્યારે બ્રિટિન યુરોપિયન યુનિયન છોડવાની તૈયારીઓ કરી રહ્યું છે, હવે સંબંધોમાં સુધારણાનો સમય આવી ગયો છે. આપણે આધુનિક ભાગીદારી માટે ઐતિહાસિક સંબંધો પર ભરોસો કરી શકીએ નહીં.

Exit mobile version