Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં બની રહેલી દુનિયાની સૌથી ઊંચી સરસ્વતી પ્રતિમાથી ઢાકા યુનિવર્સિટીનો રેકોર્ડ તૂટશે

Social Share

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં જ્ઞાનની દેવી માતા સરસ્વતીની પૂજાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી છે. જલપાઈગુડીના ધૂપગુડીમાં વસંતપંચમી પહેલા એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાની તૈયારીઓ થઈ રહી છે. અહીં 15 શિલ્પકારોએ દેવી સરસ્વતીની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ માટે દિવસરાત એક કર્યા છે. આ પ્રતિમાની ઊંચાઈ 51 ફૂટની હશે. આ પહેલ સેન્ટ્રલ ડુઆર્સ પ્રેસ ક્લબે કરી છે. આ ક્લબના અધ્યક્ષ કૃષ્ણા ડેએ કહ્યું છે કે આ દુનિયાની સૌથી ઊંચી સરસ્વતી પ્રતિમા હશે.

હાલ બાંગ્લાદેશના નામે છે રેકોર્ડ

હાલ દુનિયાની સૌથી ઊંચી સરસ્વતી પ્રતિમા પાડોશી દેશ બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં છે. ઢાકા યુનિવર્સિટીમાં બનેલી આ પ્રતિમાની ઊંચાઈ 3 ફૂટની છે. કૃષ્ણા ડેના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિમાને રેકોર્ડમા સામેલ કરવા માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે દેવી સરસ્વતીની આ 51 ફૂટની ઊંચી પ્રતિમા બનાવવામાં દોઢ લાખ રૂપિયાથી પણ વધારે પડતર કિંમત આવશે.

કૃષ્ણા ડેએ કહ્યું છે કે જ્યારે તેમને ખબર પડી કે બાંગ્લાદેશમાં દેવી સરસ્વતીની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને પૂજા કરવામાં આવી છે, તો વિચાર્યું કે ભારતમાં આવું કેમ કરવામાં આવે નહીં? ત્યારથી નિર્ણય કરવામાં આવ્યો કે ભારતમાં સૌથી ઊંચી સરસ્વતી પ્રતિમા બનાવવામાં આવશે. આ પ્રતિમાના આઠ હાથ અને તેને દેવી માતંગીનું સ્વરૂપ પણ અપાઈ રહ્યું છે. પ્રતિમાના નિર્માણમાં લગભગ દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. દેવી માતંગીને ઉચ્છિષ્ટ ચાંડાલિની અને મહાપિશાચિનીના નામથી પણ ઓળખવામાં આવે છે.


REAL VOICE OF INDIA : સરસ્વતી પૂજા પર વિવાદ પણ કરાય છે !

ભારતમાં સરસ્વતી પૂજાનો અલગ-અલગ બહાના નીચે વિરોધ થાય છે. કેરળની એક યુનિવર્સિટીએ તો સરસ્વતી પૂજનને સેક્યુલર સંસ્થા હોવાના નાતે મંજૂરીનો ઈન્કાર કરતા વિવાદ સર્જાયો હતો. તો સરસ્વતી દેવીના વિવાદીત અને વાંધાજનક ચિત્રો દોરવાની ઘટના પણ ભારતમાં બની છે. આ એ ભારત છે કે જ્યાં સરસ્વતી દેવીને જ્ઞાનની દેવી તરીકે સામાન્ય લોકો પૂજતા હોય છે. વિધિની વક્રતા જોવો, તો ભારતમાંથી પહેલા પૂર્વ પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ બનેલા મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશની રાજધાનીમાં આવેલી ઢાકા યુનિવર્સિટીમાં હાલ વિશ્વની સૌથી ઉંચી સરસ્વતી દેવાની પ્રતિમા છે. પણ ભારતમાં સરસ્વતી પૂજા અને પ્રાર્થના વિદ્યાના મંદિરોમાં વિવાદનું કારણ બની જાય છે અથવા તો તેને આમ બનાવવામાં આવે છે.