Site icon Revoi.in

ઉત્તરાખંડ: મુકેશ અંબાણીના પુત્રને ભાજપ સરકારે આપી જવાબદારી, બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીમાં કરાયા સામેલ

Social Share

ઉત્તરાખંડમાં ભાજપની સરકારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે આ નિમણૂક કરી છે.

ચાર ધામમાં સામેલ આ મંદિરનું સમગ્ર પ્રબંધન અને પ્રશાસન આ કમિટી કરે છે. તેમાં અનંત અંબાણીને સ્થાન મળ્યું છે. અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના પુત્ર છે. ઉત્તરાખંડના ચારધામમાંથી એક કેદારનાથ ધામ મંદિરના કપાટ લગભગ છ માસ બંધ રહ્યા બાદ નવમી મેએ ફરીથી ખુલશે. અધિકારીઓએ મહાશિવરાત્રિના દિવસે આના સંદર્ભે જાણકારી આપી હતી. કપાટ ખોલવાની તારીખ અને સમયની ઘોષણા મહાશિવરાત્રિના પ્રસંગે રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓંકારેશ્વર મંદિરમાં કરવામાં આવી હતી.

પૂજારીઓએ મંત્રોચ્ચારણ અને શંખધ્વનિ વચ્ચે આ ઘોષણા કરી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિરના એક અધિકારીનું કહેવું છ કે કેદારનાથ મંદિર નવમી મેના રોજ સવારે 5-35 કલાકે ફરીથી ખોલવામાં આવશે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી, જેને સામુહિક રીતે ચારધામ કહેવામાં આવે છે. તે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બંધ થઈ જાય છે અને છ માસના અંતરાલ બાદ એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવે છે.

બદ્રીનાથ અથવા બદ્રીનારાયણ મંદિર ઉત્તરાખંડના ચમોલીમાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. તે ભગવાન વિષ્ણુનું મંદિર છે. આ મંદિરની આસપાસના નગરને બદ્રીનાથ કહેવામાં આવે છે. તેવી જ રીતે કેદારનાથ મંદિર ઉત્તરાખંડના રુદ્રપયાગ જિલ્લામાં આવેલું છે. હિમાલય પર્વતની તળેટીમાં આવેલું કેદારનાથ મંદિર બાર જ્યોતિર્લિંગમાંથી એક છે. તેની સાથે જ ચાર ધામ અને પંચ કેદારમાંથી એક છે. આદિ શંકરાચાર્યે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્ય હતો.

ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથ બે મુખ્ય તીર્થસ્થાન છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે, તેની યાત્રાને નિષ્ફળ માનવામાં આવે છે.