Site icon Revoi.in

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી જળ બંબાકારની સ્થિતિઃ ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો

Social Share

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાને લીધે  અમરેલી જિલ્લામાં સારૂએવું નુકશાન થયુ છે. ભારે વરસાદને કારણે રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે અને હિંડોરણા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ડેમ ઓવરફ્લો થવાને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

તાઉ-તે વાવાઝોડાએ અમરેલી જિલ્લામાં ભારે નુકશાન કર્યું છે. હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાવાઝોડાને લીધે ધોધમાર વરસાદ પડતા નદી-નાળાં છલકાઈ ગયા હતા.વાવાઝોડાથી રાજુલામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે. ગઈ મોડી રાત્રે દીવ વણાકબોરીમાં વાવાઝોડું ટકરાયું ત્યારે તેમા પવનની ગતિ 165થી 170 કિ.મીની હતી જે હવે બોટાદની પસાર કરી અમદાવાદ તરફ આગળ વધતા તેની ગતિ 100 કિ.મીની થઈ ગઈ હતી.હવે વાવાઝોડુ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જોકે પવનની ગતિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે સવારથી અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી હતી. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. સાથે સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વેરાવળમાં પણ વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ગત રાતથી  શરૂ થયેલા ભારે પવનને કારણે અનેક જગ્યાઓએ મંડપ સહિત પતરાંઓ ઉડી ગયા હોય તેવી ઘટનાઓ બની હતી. આ ઉપરાંત બાયપાસ રોડ ઉપર પણ અનેક વૃક્ષ જમીનદોસ્ત થયા હતા. જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો.