Site icon Revoi.in

ગાંધીનગરના રૂપાલ ગામે આસો સુદ નોમના રોજ યોજાતી પલ્લી આ વર્ષે યોજાશે કે નહીં ?

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલ ગામે પરંપરાગત દરવર્ષે નિકળતી પલ્લી નિકળશે કે નહીં તે હજુ નક્કી કરાયું નથી. ભાવિકો માતાજીની પલ્લી માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રુપાલમાં વરદાયિની માતાજીના મંદિરે પલ્લી મેળો થશે કે નહીં તે નિશ્ચિત નથી. આસો સુદ-નોમનો પલ્લી મહોત્વ યોજવા બાબતે તંત્ર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. વરદાયિની માતા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકારી તંત્ર દ્વારા હજી સુધી કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. પણ કોરોનાના ગાઈડ લાઈનના પાલન સાથે મંજુરી આપવામાં આવે તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર પાસે આવેલા રુપાલ ગામમાં મહાભારત કાળથી યોજાતા પલ્લી મહોત્સવને ગયા વર્ષે કોરોનાનું ગ્રહણ નડ્યુ હતું. આસો સુદ-નોમને તારીખ 25મી ઓક્ટોબરના રોજ પલ્લી મેળાનું આયોજન કરવામાં નહોતુ આવ્યું. મહાભારતના સમયથી પ્રાચીનકાળથી ચાલતી આ પરંપરા જળવાઈ રહે તે માટે સરકાર, મંદિર ટ્રસ્ટ અને કલેક્ટર તંત્ર દરમિયાન બેઠક થયા પછી કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. નોંધનીય છે કે મહાભારત શરુ થાય તે પહેલા પાંડવો દ્વારા પલ્લીની પરંપરા શરુ કરવામાં આવી હતી. ગયા વર્ષે માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો હતો. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરંપરા જાળવવામાં નહોતી આવી. પરંતુ અત્યારે કોરોનાનું સંક્રમણ ધીમુ પડ્યું છે અને કોરોનાના કેસ પણ ઘણાં ઓછા આવી રહ્યા છે, જેના કારણે ભક્તોમાં ચર્ચા થઈ રહી છે કે પલ્લી મેળો યોજાઈ શકે છે. આ બાબતે અધિકારીએ જણાવ્યું કે, મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરવામાં આવશે અને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

રુપાલ વરદાયિની માતા મંદિર ટ્રસ્ટી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું  કે, ગત વર્ષે કોરોનાની કપરી સ્થિતિને કારણે ધાર્મિક પરંપરા જળવાય તેમ પ્રતિકરૂપે પલ્લી યોજવામાં આવી હતી. આ વખતે પલ્લી મેળા અંગે તંત્ર દ્વારા કોઈ સૂચના અમને મળી નથી. ઉલ્લેખનીય છે કે પલ્લીના દર્શન માટે દર વર્ષે આઠ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા લાખો કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ વર્ષે આ પ્રકારના મેળાનું આયોજન થશે કે નહીં તે જોવાની વાત છે. (file photo)

 

Exit mobile version