Site icon Revoi.in

ઘોરણ 10 અને 12ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જરૂર પડે ત્વરિત તબીબી સારવાર મળી શકશે

Social Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા  આગામી સાતમી માર્ચથી ધોરણ 10 અને 12ની વાર્ષિક બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે રાજ્યભરના અંદાજે ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.  અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે જેમાં આ વર્ષે વિદ્યાર્થીઓ માટે તબીબી સહાય અંતર્ગત ૧૦૮ ઇમર્જન્સી સેવાથી એક ડગલું આગળ તબીબની સેવા તાત્કાલિક મળી રહે એવું આયોજન કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંગે જિલ્લા શિક્ષક સંઘ સાથે બેઠકો યોજવામાં આવી રહી છે આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોની નજીક રહેતા ડોકટરો અથવા નજીકની હોસ્પિટલ કે દવાખાનાની માહિતી એકઠી કરવામાં આવી રહી છે આ માહિતીના આધારે ચાલુ પરીક્ષાએ જો કોઈ વિદ્યાર્થીની તબિયત લથડશે તો ૧૦૮ ઇમર્જન્સીની મદદ તો લેવાશે જ પરંતુ ૧૦૮ની પહેલાં ઝડપથી ડોક્ટર જે તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આગામી તા.૭મી માર્ચ ૨૦૧૯થી બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. સાતમી માર્ચે પ્રથમ દિવસે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહના પેપરો હશે અને લગભગ ૨૦મી સુધીમાં મોટા ભાગના મહત્વના વિષયો સાથેની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. જ્યારે ગુજકેટની પરીક્ષા ૩૦ માર્ચ ૨૦૧૯ના રોજ લેવાશે.વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ તમામ પરીક્ષાઓનાં ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યાં છે. બોર્ડ દ્વારા આ વર્ષે પણ પેપરો વચ્ચે એક એક દિવસની રજા ગોઠવવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાંચ દિવસ જેટલી પરીક્ષાઓ વહેલી શરૂ થશે. ગત વર્ષે ૧૨મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ હતી. રાજ્યમાં એન.સી.ઇ.આર.ટી.નાં પાઠય પુસ્તકોના અમલ અને બદલાયેલા અભ્યાસક્રમના પરિણામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ચાલુ શૈક્ષણિક વર્ષ થી ધોરણ નવથી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ષે લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા આકરા નિયમો બનાવાયા છે.