Site icon Revoi.in

ગુજરાતમાં સિંહની વસતી વધતા નવા રહેઠાણ વિક્સાવવા માટે 1000 કરોડનો ‘પ્રોજેક્ટ લાયન’

Social Share

અમદાવાદઃ ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. વસતી વધારાને લીધે શિકારની શોઘમાં સિંહો હવે રેવન્યુ વિસ્તારોમાં આવવા લાગ્યા છે. તેથી હવે સિંહો માટેના રહેઠાણનો નવો વિસ્તાર વિક્સાવવા માટે પ્રોજેક્ટ લાયન અમલમાં મુકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ 25 વર્ષમાં 1000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાત તો પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનો નવો વસવાટ શરૂ કરતા આ વિસ્તાર વનરાજોને ફાવી ગયો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સિંહો માટે નવા વસવાટ વિકસાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ભારતના ગૌરવ સમાન ગીરના સિંહોની વસ્તી સતત વધતી જાય છે અને હવે સિંહ પરિવારો અભ્યારણ બહાર પણ વસવાટ કરવા લાગ્યા છે. જેથી હવે આગામી 25 વર્ષ સુધી સિંહોની વસ્તીને ધ્યાનમાં લઈને તેઓ માટે વધુ સુરક્ષિત રહેણાંક અને તેમના માટે કુદરતી વાતાવરણ સાથે નવા વિસ્તારો વિકસાવવા રૂા.1000 કરોડના પ્રોજેકટ લાયન-ફંડને કેન્દ્ર સરકારે મંજુરી આપી છે. તાજેતરમાં જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ બે દિવસની અભ્યારણથી મુલાકાતે આવ્યા હતા અને અહી ઉચ્ચ કક્ષાની બેઠકમાં લાયન પ્રોજેક્ટનો પ્રારંભ કરવા મંજુરી આપી હતી. વાસ્તવમાં આ પ્રોજેકટ 2020માંજ મંજુર થયો હતો. પરંતુ કોવિડના કારણે તેનો અમલ થઈ શકયો ન હતો. ગુજરાત સરકારે અગાઉ રૂા.2000 કરોડના ભંડોળની માંગ કરી હતી. જેમાં રૂા.1000 કરોડની મંજુરી મળી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે અગાઉ નેશનલ ટાઈગર કન્ઝર્વેટીવ ઓથોરીટીના આયોજનને મોડેલ તરીકે અપનાવવા નિર્ણય લીધો હતો અને હવે તે મુજબ જ આ પ્રોજેકટ લાયનને આગળ ધપાવાશે અને ડિસેમ્બર સુધીમાં આ ભંડોળ ગુજરાતને મળી જશે. જે હેઠળ ગીરના જંગલની બહાર સૌરાષ્ટ્રમાં સિંહોના નવા વસવાટ માટે તૈયારી કરાશે. આ ઉપરાંત અહી આધુનિક ટેકનોલોજીના આધારે સિંહો પર દેખરેખ તેમના માટે વધુ સારી એનીમલ હોસ્ટેલ ઉપરાંત એક રીસર્ચ સેન્ટર પણ ઉભુ કરાશે.