વેરાવળઃ ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે જ ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 10થી વધુ બોટો દરિયામાં ડૂબી જતાં 12 માછીમારો લાપતા થયા છે. ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટિ કરીને જણાવ્યું હતું કે હાલમાં 4 માછીમારને બચાવી લેવાયા છે. બે હેલિકોપ્ટર દ્વારા દરિયામાં ગુમ થયેલા માછીમારોની શોધખોળ કરવામાં આવી રહી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મુંબઈના પ્રવાસે હતા જ્યાં તેમણે બોટમાં રહેલા 12 જેટલા ખલાસી માછીમારો પૈકીના 8 જેટલા વ્યક્તિઓ સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જાણ થતાં ગીરસોમનાથ જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેના તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટ ગાર્ડની બોટસ અને બે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા અને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી.. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ પંકજ કુમારને પરિસ્થતિ પર નજર રાખવાની પણ સૂચનાઓ આપી હતી.
જ્યારે 40 જેટલી બોટોને એક-બીજા સાથે અથડાવવાના કારણે નાનું-મોટું નુકસાન થયુ છે. જ્યારે લાંગરેલ બોટોમાં સુતેલા પૈકીના 12 ખલાસીઓ દરિયામાં લાપતા બન્યા છે. જેની શોઘખોળ હાથ ધરી બચાવવા માટે તંત્ર પાસે મદદ માંગી છે. નવાબંદરમાં થયેલી ખુવારી અંગે તંત્રને જાણ કરાતા પ્રાંત અઘિકારી, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ અંગે ઉનાના પ્રાંત અધિકારી જે.જે.રાવલના જણાવ્યા મુજબ, ભારે પવનના કારણે નવાબંદરમાં થયેલી ખુવારી અંગે તંત્રને જાણ થતા વહેલી સવારથી જ લાપતા બનેલા ખલાસીઓ અને બોટોને બચાવવા માટે કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને માછીમાર સમાજના લોકોને સાથે રાખી હેલીકોપ્ટરની મદદ લઇ રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં લાપતા બનેલા પૈકીના 4 ખલાસીઓને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ બાકીના લાપતા ખલાસીઓ-બોટોની શોધખોળ તંત્રની ટીમ કરી રહી છે. ભારે તોફાની પવન ફૂંકાવવાના લીધે નવાબંદરના દરિયામાં લાપતા બનેલા ખલાસીઓને શોધવા તંત્રએ કોસ્ટગાર્ડ અને નેવીની મદદ લીધી છે. હાલ કોસ્ટગાર્ડનું 1 હેલિકોપ્ટર અને નેવીના 1 પ્લેન દ્વારા નવાબંદરની આસપાસના દરીયામાં શોધખોળ હાથ ધરી છે. હજુ પણ 8 ખાલીસો લાપતા છે.