Site icon Revoi.in

ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસતીએ ટીબીના 189 દર્દીઓ, વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્તિનો સંકલ્પ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર 189 દર્દીઓ મળી રહ્યા છે. ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ગુરૂવારે રાજભવનમાં રાષ્ટ્રીય ટી.બી. ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં થઈ રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. સમગ્ર દેશમાં ગુજરાત શ્રેષ્ઠ કામગીરીમાં બીજા ક્રમે છે, તે માટે આરોગ્યતંત્રને બિરદાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા અનુરોધ કર્યો હતો.

વિશ્વમાંથી વર્ષ-2030 સુધીમાં ટી.બી. નાબૂદીનો લક્ષ્યાંક છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ-2025 સુધીમાં સંપૂર્ણ ટી.બી. મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ટી.બી. ઉન્મૂલન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત નેતૃત્વ કરશે. ગુજરાતમાં ક્ષયના 72 ટકા દર્દીઓ ગ્રામીણ વિસ્તારમાં છે જ્યારે 28 ટકા દર્દીઓ શહેરી વિસ્તારોમાં છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વર્ષ-2025 સુધીમાં ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે ટી.બી.ના દર્દીઓને શોધી કાઢવાનું કામ વધુ પ્રભાવક બનાવવાની હિમાયત કરી હતી. આ માટે આરોગ્ય તંત્રના ફિલ્ડ સ્ટાફને પ્રોત્સાહન સાથે જવાબદારી સોંપવા રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સૂચન કર્યું હતું. સખી મંડળોની બહેનોની મદદ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. નિ-ક્ષય મિત્ર તરફથી અપાતી કીટ વધુ પોષક તત્વોવાળી બને એ હેતુથી તેમાં  અન્ન-મીલેટ્સ ઉમેરવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.

ગુજરાતમાં અત્યારે ટી.બી.ના 82,804 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના 70,509 જેટલા દર્દીઓએ  નિ-ક્ષય મિત્રોની મદદ લેવાની સંમતિ આપી છે. વડાપ્રધાન ટી.બી્ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં સેવાભાવી લોકો, સંસ્થાઓ, સહકારી અને રાજકીય સંગઠનો, કો-ઓપરેટીવ અને કોર્પોરેટ સંસ્થાઓ નિ-ક્ષય મિત્ર તરીકે ટી.બી.ના દર્દીઓને નિયમિત રીતે દવા અને પોષક આહારની કીટ વિના મૂલ્યે પહોંચાડે છે. ગુજરાતમાં 4,097  નિ-ક્ષય મિત્રો નિયમિત રીતે 70,509 દર્દીઓને 1,36,930 કીટ પહોંચાડે છે.રાજભવનમાં આયોજિત આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રીમતી શાહમીના હુસૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.