Site icon Revoi.in

ગુજરાતના આઠ મહાનગરોમાં યોજાયેલા મિલેટ મહોત્સવમાં 2.78 લાખ લોકોએ મુલાકાત લીધી

Social Share

ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારતના બાજરી, જુવાર, રાગી જેવા વિવિધ પોષણયુક્ત શ્રીઅન્નને આજે સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે પણ સુપર ફૂડ મિલેટ્સને ઘર-ઘર સુધી પહોંચાડવાના પ્રયાસોમાં સહભાગી થવા રાજ્યની 8 મહાનગર પાલિકાઓ ખાતે ત્રિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કર્યું હતું, જેમાં રાજ્ય સરકારને ભવ્ય સફળતા મળી છે.

‘મિલેટ મહોત્સવ’ના સફળ આયોજન અંગે વાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે યોજાયેલા ‘મિલેટ મહોત્સવ’ની આશરે 2,78 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી છે. મિલેટ મહોત્સવમાં શ્રીઅન્નને પ્રોત્સાહિત કરતા અને નાગરીકોને શ્રીઅન્નના લાભ સાથે અવગત કરાવતા કુલ 502 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સ પરથી ત્રણ દિવસમાં આશરે રૂ.1.14 કરોડનું વેચાણ થયું છે.

મંત્રીએ કહ્યું કે, શ્રીઅન્નથી બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ પ્રત્યે લોકો ખૂબ જ આકર્ષાયા છે. વડોદરા અને રાજકોટ ખાતેના મિલેટ મહોત્સવમાં બાજરી બેઇઝ પીઝા, બાજરીના ફ્લેક્સની વાનગીઓ, બાજરી અને રાજગરાના નૂડલ્સ, પાસ્તા અને કુકીઝ જેવી અવનવી વાનગીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

તેમણે કહ્યું કે, સ્વાદિષ્ટ શ્રીઅન્નમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન સહિતના પોષકતત્વો મળે છે તેમજ તે પચવામાં પણ સરળ રહે છે. શ્રીઅન્નમાંથી બનતી વિવિધ વાનગીઓનો આસ્વાદ માણી શકાય અને સાથે જ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકાય તે માટે આજની યુવા પેઢી પણ મિલેટ તરફ આકર્ષાય તેવા તમામ પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા મિલેટ મહોત્સવના આયોજન થકી કરવામાં આવ્યા છે.

મિલેટ મહોત્સવમાં શ્રીઅન્નના રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક ઉત્પાદનોના સ્ટોલ, જાડા ધન્યોની વિવિધ વાનગીઓ ધરાવતા લાઈવ ફૂડ કાઉન્ટર, હેન્ડીક્રાફટ, પ્રાકૃતિક પેદાશો વગેરેના સ્ટોલ પર લોકોનો જમાવડો જામ્યો હતો. મિલેટ્સન પ્રત્યે લોકોના ઉત્સાહને ધ્યાને લઇ કેટલીક મહાનગરપાલિકામાં મુલાકાતનો સમય પણ વધારવામાં આવ્યો હતો, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.