અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાથે પ્રોપર્ટી ટેક્સના બાકીદારો પાસેથી વસુલાત માટે સમયાંતરે રિબેટ આપીને પણ ટેક્સની વસુલાત કરવામાં આવે છે. ધણા કોમર્શિયલ પ્રોપર્ટી ધારકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી, આવા પ્રોપર્ટીધારકોને અવારનવાર નોટિસો આપ્યા છતાં ટેક્સ ભરતા ન હોવાથી મ્યુનિ. દ્વારા સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શુક્રવારે 2047 જેટલી મિલક્તો સીલ કરવામાં આવી હતી. મ્યુનિ.ની ઝૂંબેશથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એએમસીના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સની વસૂલાત માટે ફરી એકવાર મિલકત સીલીંગ ઝુંબેશ શરૂ કરી છે, જેના ભાગરૂપે શુક્રવારે ટેક્સ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત સીલીંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં કુલ 2074 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવતા ઘાટલોડીયા, બોડકદેવ, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં કુલ 402 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ટેક્સ વિભાગ દ્વારા મિલકત સીલીંગ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સની ભરપાઈ કરવા માટે વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકવાની સાથે જે કરદાતાઓ વર્ષોથી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરતા નથી. એમની મિલકતોને સીલ કરી ટેકસની વસૂલાત કરવામાં આવી રહી છે. એક જ દિવસમાં 2,000થી વધુ મિલકતોને સીલ કરી ફરીવાર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે મિલકત સીલીંગ ઝુંબેશ કરાતા રૂ.2.62 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ હતી. જો આગામી દિવસોમાં મિલકત ધારકો દ્વારા ટેક્સ નહીં ભરવામાં આવે તો તેમના પાણી અને ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે.