Site icon Revoi.in

ચીનમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત

Social Share

બેઇજિંગ, 08 જુલાઈ 2026: કુદરતી આફતોનો સામનો કરી રહેલા ચીનમાંથી બે ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. વાયવ્ય ચીનમાં ભૂસ્ખલનની એક મોટી ઘટનામાં મૃત્યુઆંક વધીને 21 પર પહોંચ્યો છે, જ્યારે બીજી તરફ ગુઆંગસી વિસ્તારમાં પૂરના પાણી સાથે સેંકડો ઝેરી સાપ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પૂરના પાણીમાં તણાયા 800 સાપ

નોંધનીય છે કે ચીનના ગુઆંગશી ક્ષેત્રમાં ‘માયસાક’ વાવાઝોડાને કારણે આવેલા પૂરથી હવે એક નવો અને અસામાન્ય ખતરો ઉભો થયો છે. સ્થાનિક સમાચાર એજન્સી ‘હોંગશિંગ’ અનુસાર, હેંગઝોઉના એક ગામમાં એક સાપ ફાર્મ પરિસરમાં પૂરના પાણી ઘૂસી ગયા બાદ સંપૂર્ણપણે ડૂબી ગયું હતું.

આ ઘટનાને કારણે ફાર્મમાંથી 800થી વધુ સાપ બહાર નીકળી ગયા છે અને આસપાસના ગામડાઓમાં ફેલાઈ ગયા છે. પરિણામે, વહીવટીતંત્ર હવે પૂર અને આ સાપો – એમ બંને સમસ્યાઓનો સામનો કરવાના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે.

ભૂસ્ખલનમાં 21 લોકોએ જીવ ગુમાવ્યા

ચીની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે લગભગ 7 વાગ્યે ગાન્સુ પ્રાંતના લોંગનાન શહેરમાં અચાનક ભૂસ્ખલન થવાથી ભારે તબાહી સર્જાઈ હતી. માટી અને કાટમાળ નીચે કુલ 33 લોકો જીવતા દટાઈ ગયા હતા.

બુધવાર સવાર સુધી ચાલેલા સઘન બચાવ અભિયાન બાદ તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા; જોકે, દુર્ભાગ્યવશ તેમાંથી 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાહતની વાત એ છે કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી પાંચ સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે સાત લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેઓ સારવાર હેઠળ છે.

વધુ વાંચો: PoKમાં પાકિસ્તાની સુરક્ષા દળોના ગોળીબારમાં અત્યાર સુધી 56 લોકોના મોત  

Exit mobile version