- ટ્રેનના પાયલોટની સતર્કતાને કારણે સિંહ બચી ગયા,
- રેલવે ટ્રેક પર ફોરેસ્ટના ટ્રેકરનો ચોકી પહેરો,
- 4 દિવસ પહેલા પણ ચલાલ નજીક 3 સાવજો ટ્રેક પર આવી ગયા હતા
ભાવનગરઃ અમરેલી જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. ત્યારે રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આવી જવાના બનાવો બની રહ્યા છે. જો કે રેલવે ટ્રેક પર સિંહ આવી જાય તો તેને ખદેડવા માટે વન વિભાગના ટ્રેકરો સતત નજર રાખતા હોય છે. ઉપરાંત ટ્રેનના પાયલોટ પણ એલર્ટ રહેતા હોય છે. ટ્રેનની ગતિ મર્યાદા પણ નિયત કરવામાં આવેલી છે. એટલે સિંહ ટ્રેક પર જોવા મળે એટલે ઈમરજન્સી બ્રેક મારીને સિંહને બચાવી લેવામાં આવતા હોય છે. તાજેતરમાં રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર એક સાથે 5 સિહ આવી ચડ્યા હતા. ત્યારે ગુડ્ઝ ટ્રેનના પાયલોટએ સિંહને જોતા જ ઈમરજન્સી બ્રેક મારીને ટ્રેન થંભાવી દીધી હતી. ત્યારબાદ વનમ વિભાગના ટ્રેકરની મદદથી સિંહને ટ્રેક પરથી દુર કરાયા હતા.
ભાવનગર રેલવે મંડળ સિંહો, વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે રાજુલા-પીપાવાવ વચ્ચે 5 સિંહોને માલગાડીએ ઇમરજન્સી બ્રેક મારી બચાવી લીધા હતા. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 60 સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 28 ઓગસ્ટ, 2024 (બુધવાર) ના રોજ, લોકો પાયલટ ભૂપેન્દ્ર મીણા (મુખ્ય મથક – બોટાદ)એ કિમી નં. 19/9 -20/0 સમયે ગુડ્સ ટ્રેન નંબર BCNE/PPSP ને રાજુલા-પીપાવાવ સેક્શન વચ્ચે 04.30 કલાકે, વન વિભાગના કર્મચારીઓએ ખતરાના સંકેત દર્શાવ્યા બાદ ઇમરજન્સી બ્રેક લગાવીને તેને અટકાવી હતી. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે લોકો પાયલોટે જોયું કે એક પછી એક 5 સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા છે. ટ્રેન મેનેજરને આ અંગે લોકો પાયલટ દ્વારા જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર તરફથી સિગ્નલ મળતાં કે ટ્રેક સાફ થઈ ગયો છે, ગુડ્સ ટ્રેનને લોકો પાઈલટ દ્વારા ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
આવો જ એક બીજો બનાવ ચાર દિવસ પહેલા ધારી- ચલાલા વચ્ચે રેલવે ટ્રેક પર બન્યો હતો. ચલાલા નજીક ટ્રેક પર 3 સાવજો ટ્રેક પર આવી ચડ્યા હતા.જેથી અમરેલીથી વેરાવળ જતી ટ્રેનના ચાલકે ટ્રેનને થંભાવી દીધી હતી. ટ્રેનના લોકો પાઈલટ રમેશ. પી.ભેવલિયાએ ટ્રેનને ઈમરજન્સી બ્રેક લગાવી થંભાવી દીધી હતી. ટ્રેન મેનેજરે આ અંગે ચલાલા રેલવે સ્ટેશન ખાતે જાણ કરી હતી. બાદમાં વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ દોડી આવી હતી.