Site icon Revoi.in

ગ્વાલિયરમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત, 4ને ઈજા

Social Share

ભોપાલ, 27 માર્ચ 2026: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે(27 માર્ચ, 2026) વહેલી સવારે થાટીપુર વિસ્તારમાં આવેલા પરશુરામ ચોક પાસે જૈન મંદિર નજીક એક પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયોએ ઓટો રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં એક જ પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં બે બાળકો પણ છે, જેમને ગ્વાલિયરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત વહેલી સવારે આશરે 3 વાગ્યે સર્જાયો હતો. ઓટોમાં સવાર લોકો શીતળા માતાના મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. રિક્ષામાં કુલ 9 લોકો સવાર હતા. ટક્કર એટલી ભીષણ હતી કે ઓટો રિક્ષા અનિયંત્રિત થઈને રસ્તાના કિનારે આવેલા લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં 5 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સ્કોર્પિયો ચાલકે પહેલા બસ સ્ટેન્ડ પાસે એક ઈ-રિક્ષાને ટક્કર મારી હતી, જેના કારણે પોલીસ તેનો પીછો કરી રહી હતી. પોલીસથી બચવાના પ્રયાસમાં ચાલકે વાહન પૂરપાટ ઝડપે હંકારી ઓટો રિક્ષાને અડફેટે લીધી હતી. ઈજાગ્રસ્તોના જણાવ્યા મુજબ, સ્કોર્પિયો ચાલક નશામાં હતો અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી રહ્યો હતો. પોલીસ દ્વારા આરોપી ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

મૃતકોના નામ:

ઈન્દ્રજીત ઉર્ફે પપ્પુ શાક્ય (ઉં.વ.55)
લીલા ઈન્દ્રજીત (ઉં.વ.52)
શુભમ ઉર્ફે લાલી (ઉં.વ.30)
શગુન શુભમ
પ્રીતિ કશ્યપ (ઉં.વ.60, રહે. મેરઠ)

ઈજાગ્રસ્તોના નામ:

પ્રીતિ (ઉં.વ.20)
પ્રિયાંશ શુભમ (ઉં.વ.5)
આરવ શુભમ (ઉં.વ.6)
એક અન્ય અજ્ઞાત વ્યક્તિ

Exit mobile version