Site icon Revoi.in

ભાગલપુરના કાજવલીચક વિસ્તારમાં એક મકાનમાં બોમ્બ બ્લાસ્ટઃ નવના મોત

Social Share

નવી દિલ્હીઃ બિહારના ભાગલપુરમાં એક મકાનમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા અને બાળક સહિત નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટની તિવ્રતા એટલી જોરદાર હતી કે આસપાસના અન્ય બે મકાન પણ ધરાશાયી થયાં હતા. આ બનાવની જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયું હતું. તેમજ કાટમાળ હટાવીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. બોમ્બ બનાવતી વખતે આ બ્લાસ્ટ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બિહારમાં ભાગલપુરના તાતારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાજવલીચક વિસ્તારમાં એક ઘરની અંદર થયેલા બોમ્બ વિસ્ફોટથી તબાહી મચી ગઈ હતી. આ વિસ્ફોટમાં કુલ ત્રણ મકાનો ધરાશાયી થયા હતા, જ્યારે એક મહિલા અને એક બાળક સહિત નવ લોકોના મોત થયા હતા. 11 ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આસપાસના કેટલાક અન્ય મકાનોને પણ નુકસાન થયું હતું. એસએસપી બાબુ રામે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો. રાત્રે 11.35 વાગ્યે વિસ્તારના એક ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘરમાં શીલા દેવી અને લીલા દેવી રહેતા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકના અન્ય બે મકાનો ધરાશાયી થયા હતા.

આ સિવાય કેટલાક અન્ય મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. બ્લાસ્ટનો અવાજ અડધા કિમી દૂર સુધી સંભળાયો હતો. શીલા દેવી, ગણેશ કુમાર અને એક છ મહિનાના બાળકના મૃતદેહ થોડી જ વારમાં કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એક પછી એક અડધો ડઝન ઘાયલોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તમામ મૃતકો અને ઘાયલો કાજવાલી ચોક, તાતારપુરના રહેવાસી છે. ડીઆઈજી, એસએસપી, ડીએમ સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. વિસ્ફોટના કારણે વીજ થાંભલાઓ અને વાયરો પણ તુટી ગયા હતા. અંધારાના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી હતી.