Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં એક નાગરિકનું મોત

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન એક નાગરિક ઘાયલ થયો હતો.જોકે, ઈજાગ્રસ્ત વ્યક્તિએ બાદમાં હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.તે જ સમયે આ ઘટનામાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીએ કહ્યું કે,જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારે સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.જેના પર સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. મૃતકની ઓળખ કુલગામના રેડવાની બાલા વિસ્તારના મંજૂર અહેમદ લોન તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે,એન્કાઉન્ટર દરમિયાન ઘાયલ થયેલા મંજૂરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

પોલીસે ટ્વિટર પર લખ્યું કે,ઘાયલ નાગરિક મંજૂર લોન નિવાસી રેડવાની બાલાએ કુલગામમાં દમ તોડી દીધો.તે જ સમયે, ઘાયલ સેનાના જવાન કિરણ સિંહ શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં દાખલ છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે આતંકવાદી હુમલામાં એક પરપ્રાંતિય મજૂરનું મોત થયું હતું.ત્યાં અન્ય બે ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે,આતંકીઓએ પુલવામામાં ગ્રેનેડ વડે આ ઘટનાને અંજામ આપ્યો હતો.