Site icon Revoi.in

પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ ગુપ્ત માહિતી આપ્યાનો પાક.ના પત્રકારનો દાવો, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાએ મોટો દાવો કર્યો છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તેમની ભારત મુલાકાત દરમિયાન તેમને પાંચ વખત મળ્યા હતા અને જે ગુપ્ત માહિતી મળી હતી અને આ માહિતી આઈએસઆઈને આપી હતી. પાકિસ્તાની પત્રકારના આ ખુલાસા બાદ હવે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસ પર અનેક અનેક અણીયારા સવાલો કર્યાં હતા.

ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, દેશની જનતા પૂછવા માંગે છે કે શું આતંકવાદને ખતમ કરવાની તમારી આ નીતિ છે? પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, હામિદ અંસારીને દેશની જનતાએ માન આપ્યું અને બદલામાં તમે શું કર્યું? ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે નુસરત મિર્ઝાને ભારત આવવા આમંત્રણ આપવામાં આવે છે. કોંગ્રેસ આવી વ્યક્તિને બોલાવી રહી હતી. જે આપણા દેશની ગુપ્ત માહિતી ISI ને આપતી હતી. તેમની આતિથ્ય સત્કાર થાય છે. તેમણે આ મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષના મૌન પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, આટલા મોટા ખુલાસા પછી પણ કોંગ્રેસ અને વિપક્ષે આ અંગે કશું કહ્યું નથી.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે મૌન સેવી રહી છે. સોનિયા ગાંધીને સવાલ એ છે કે તમે શેર કરો કે આ પાકિસ્તાની પત્રકારને કેવી રીતે બોલાવવામાં આવ્યો અને તેમને શું માહિતી આપવામાં આવી?  સોનિયા ગાંધી અને હામિદ અંસારીએ જણાવવું પડશે કે તમે નુસરત મિર્ઝાને કઈ સત્તાવાર કે બિનસત્તાવાર માહિતી આપી.

(PHOTO-FILE)