Site icon Revoi.in

પાવાગઢમાં દર્શને આવતા વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને માટે રોપ-વેથી લિફ્ટની સુવિધા અપાશે

Social Share

ગોધરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો છેલ્લા એક દાયકામાં પ્વાસમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. પાવાગઢ મહાકાલીના મંદિરની ભવ્ય ડિઝાઈન કર્યા બાદ વધુ એક સુવિધા ઉભી કરવાની દિશામાં નવો નિર્ણય કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અહીં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા માટે બે લિફ્ટ બનાવવામાં આવશે. કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદ વરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભક્તોને વધુ સુવિધા મળી રહે તે માટે લિફ્ટનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાવાગઢમાં રોજબરોજ મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન માટે આવે છે. મંદિરના દર્શન માટે આવતા ભક્તોએ રોપ-વેમાં પહોંચ્યા બાદ 450 પગથિયા ચઢીને મંદિર સુધી પહોંચવું પડે છે. જેના કારણે કેટલાક વૃદ્ધ દર્શનાર્થીઓ અને દિવ્યાંગોને અહીં પહોંચવામાં તકલીફ પડતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને બે લિફ્ટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લિફ્ટ માટે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એટલે કે ટૂંક સમયમાં પાવાગઢ આવનારા ભક્તોને વધુ એક સુવિધા મળશે. પાવાગઢ પર આવેલા છાસિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે ભક્તો લિફ્ટનો ઉપયોગ કરી શકશે. બે લિફ્ટ પાછળ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. એક સમયે આ લિફ્ટમાં 20 લોકો સવાર થઈને જઈ શકશે. રોપ-વેમાંથી ઉતર્યા બાદ મંદિર સુધીની 70 મીટરની બાકી રહેલી ઊંચાઈ આ લિફ્ટ દ્વારા કાપી શકાશે. આ લિફ્ટ હાઈસ્પીડ લિફ્ટ હશે. આ લિફ્ટના નિર્માણનું કામ અમદાવાદની  એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું છે.
કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, માતાજીના દર્શન કરવા આવનારા દર્શનાર્થીઓને વધુ સગવડ મળે તે માટે લિફ્ટનું નિર્માણ કરવા આવશે. લિફ્ટના ખાતમુહૂર્ત દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લિફ્ટના નિર્માણ માટે ખાતમુહૂર્ત જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. (file photo)