Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં પાંચ ધારાસભ્યો ધરાવતા AAPને સ્થાન ન મળ્યું

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આગામી 23 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. વિધાનસભામાં વિપક્ષના સભ્યોની સંખ્યા ખૂબ ઓછી હોવાથી પ્રશ્નોતરી દરમિયાન ગરમાગરમી જોવા મળે તેમ લાગતું નથી. દરમિયાન બજેટ સત્રમાં હાથ ધરાતી કામગીરી, બેઠકો અને કામકાજની યાદીની બાબતોની તૈયારી માટે કામકાજ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે.  વિધાનસભા બેઠકમાં પહેલી વખત પાંચ બેઠકો જીતનારી આમ આદમી પાર્ટીના કોઇ ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. બીજી તરફ કોંગ્રેસમાંથી પણ માત્ર એક ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કામકાજ સલાહકાર સમિતિમાં વિપક્ષની ભૂમિકા નહિવત રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી યોજાશે. 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર હોવાથી નવેસરથી કામકાજ સલાહકાર સમિતિની રચના વિધાનસભા દ્વારા કરવામાં આવી છે, જેમાં કુલ ધારાસભ્યો પૈકી વિવિધ પક્ષના ધારાસભ્યોની સંખ્યાને ધ્યાને લઇને એટલે કે પ્રોરેટા મુજબ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે.  આમ આદમી પાર્ટીના પ્રથમવાર 5 ધારાસભ્યો વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા છે પરંતુ પ્રોરેટા મુજબ પૂરતી સંખ્યા નહીં હોવાથી તેમના કોઇ સભ્યને સમિતિમાં સમાવ્યા નથી. બીજી તરફ કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હોવાથી એકમાત્ર કોંગ્રેસી નેતા અમિત ચાવડાને કામકાજ સલાહકાર સમિતિમાં સ્થાન મળ્યું છે. વિધાનસભાની આ 10 સભ્યોની કામકાજ સલાહકાર સમિતિમાં અધ્યક્ષપદે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી રહેશે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઇ પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, કુબેરસિંહ ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ અને કોંગ્રેસી નેતા અમિત ચાવડાનો સમાવેશ કરાયો છે. 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં નાણાંપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રમાં 27 બેઠકો મળશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો, જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.