Site icon Revoi.in

ગુજરાત યુનિ.ના ખાનગી કોર્ષમાં અધ્યાપકોની ભરતીના મુદ્દે સીટના રિપોર્ટને આધારે કાર્યવાહી કરાશે

Social Share

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન સંસ્થાઓમાં કેટલાક ખાનગી કોર્ષ ચાલી રહ્યા છે. જેમાં અધ્યાપકોની કાયમી ભરતી કરી દેવાતા આ મુદ્દે ગંભીર આક્ષેપો થતાં શિક્ષણ વિભાગે સીટ બનાવીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. દોઢ મહિના કરતાં વધુ સમય તપાસ કરીને નિવેદનો લેવાયા બાદ એનો રિપોર્ટ તૈયાર કરીને સીટ દ્વારા શિક્ષણ વિભાગને સોંપવામાં આવ્યો છે. હવે રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન MSW,  બાયોટેકનોલોજી, ફોરેન્સિક સાયન્સ, ફૂડ સાયન્સ, બાયો મેડિકલ ટેકનો એન્ડ હ્યુમન જીનેટીક, પરફોર્મિંગ આર્ટસ સહિતના વિભાગમાં 19 અધ્યાપકોની કાયમી ભરતી કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. ખાનગી કોર્સમાં અધ્યાપકોની ખોટી રીતે ભરતી કરવામાં આવી છે. આ મુદ્દે ઉચ્ચ શિક્ષણ વિભાગમાં ફરિયાદ થતાં સમગ્ર મામલાની તપાસ માટે કમિટી રચવામાં આવી હતી.  શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કમિટીમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. કમિટીના સભ્યોએ યુનિવર્સિટીની મુલાકાત લઈને કાયમી અધ્યાપકોની નિમણુક માટેના દસ્તાવેજો એકત્ર કરીને તેમજ જવાબદારોના નિવેદનો રેકોર્ડ કરીને એનો રિપોર્ટ તૈયાર કરીને શિક્ષમ વિભાગને સુપરત કર્યો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા હવે રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર વિવિધ અભ્યાસક્રમોમાં ફીના ધોરણો પણ અલગ હોય છે. અને આવા અભ્યાસક્રમો ભણાવવા માટે માનદ વેતનથી કામચાલાઉરીતે અધ્યાપકોની ભરતી કરવામાં આવતી હોય છે. કારણ કે ઘણા કોર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે. ઘણીવાર વિદ્યાર્થીઓ પુરતા ન મળવાને કારણે નવા શરૂ કરેલા વિભાગો બંધ કરવાની પણ ફરજ પડતી હોય છે. પરંતુ ગુજરાત યુનિ.ના સત્તાધિશોની મંજુરીથી અધ્યાપકોની કાયમી ભરતી કરી દેવામાં આવતા આ મુદ્દે ભારે વિવવાદ ઊભો થતાં શિક્ષણ વિભાગને કમિટી રચવાની ફરજ પડી હતી.