Site icon Revoi.in

દિવાળીના તહેવારોમાં તિથિનો ક્ષય હોવાથી અગિયારસ અને વાઘ બારસ એક સાથે મનાવાશે

Social Share

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પંચાગ મુજબ દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત થશે.

શહેરના કર્મકાંડી જ્યોતિષોના જણાવ્યા મુજબ  આ વર્ષે ચૌદશની તિથિનો ક્ષય હોવાને કારણે સોમવારે 1 નવેમ્બરે રમાએકાદશી અને વાઘબારસ મનાવાશે. જ્યારે મંગળવારે તારીખ 2 નવેમ્બરે દિવસે સવારે 11.31 સુધી વાઘબારસની તિથિ છે અને ત્યારબાદ તેરસની તિથિ છે. આમ તેરસનું મહત્ત્વ સાંજના પ્રદોષકાળે હોવાથી મંગળવારે બારસના દિવસે જ ધનતેરસ મનાવાશે. તારીખ 3 નવેમ્બરને બુધવારે સવારે 9.02 સુધી જ તેરસની તિથિ છે અને તેરસના દિવસે જ ચૌદશની તિથિ બેસી જાય છે. ચૌદશની તિથિનો ક્ષય હોવાથી બુધવારે તેરસના દિવસે જ કાળીચૌદશ મનાવાશે. જ્યારે દિવાળી તારીખ 4 નવેમ્બરને ગુરુવારે અમાસના દિવસે જ મનાવાશે. દિવાળીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.

જ્યોતિષવિદોના કહેવા મુજબ આસો વદ-7ને તારીખ 28ને ગુરુવારે પુષ્યામૃત યોગ છે. સવારે 9.42થી પ્રારંભ થતા આ શુભ યોગમાં સોના-ચાંદી, વાહન ખરીદી, પૂજન માટેના ચોપડાની ખરીદી માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે. દિવાળી પહેલા જ હાલ બજારમાં રોનક અને રોશનીનો ઝગમગાટ છવાયો છે ત્યારે દિવાળી પહેલા જ આવતા આ યોગમાં લોકોને પોતાની પસંદગીની ચીજવસ્તુઓ ખરીદવાનો શ્રેષ્ઠ અવસર મળશે. દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી હોવાથી બજારોમાં ખરીદી નિકળી છે. વેપારીઓના કહેવા મુજબ લોકો મોંઘવારીને લીધે જરૂર હોય એટલી જ વસ્તુઓ ખરીદી રહ્યા છે. આ વખતે ભારે ડિસ્કાઉન્ટને કારણે રેડિમેડ કપડાંનો ઓનલાઈન વેપાર સારોએવો થયો હોવાથી શહેરના રિટેલ વેપારીઓને ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે ઘરાકી જોવા મળતી નથી.

 

Exit mobile version