Site icon Revoi.in

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા એક જ દિવસમાં એક લાખ કરોડના MOU થયાં

Social Share

ગાંધીનગરઃ આગામી જાન્યુઆરી-2024માં યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં  વધુ 23 MoU કરાયા હતા. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં રૂપિયા એક લાખ કરોડના સંભવિત રોકાણ માટે એમઓયુ કર્યા હતા, તેની સાથે જ આ રોકાણથી 70 હજાર રોજગાર સર્જન થવાની સંભાવના છે.

રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ વિવિધ ઉદ્યોગો સાથે MoU કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં યોજાઇ ગયેલી એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 13 શ્રુંખલાઓમાં 77 MoU સાથે રૂ. 35 હજાર કરોડના સંભવિત રોકાણો થયા છે. તે ઉપરાંત બુધવારે એમ.ઓ.યુ. હસ્તાક્ષરની 14મી શ્રુંખલામાં 23 MoU સાથે રૂ. એક લાખ કરોડના સંભવિત રોકાણ થયા છે. એટલે કે આજ દિન સુધી 100 MoU સાથે રૂ. 1,35 લાખ કરોડથી વધુના સંભવિત રોકાણો થયા છે. બુધવારે કરવામાં આવેલા એમઓયુ અંતર્ગત પોર્ટ અને પોર્ટ સંબંધિત ક્ષેત્રમાં રૂ.27,271 કરોડના અંદાજિત રોકાણ સાથે 10,100 રોજગારનું સર્જન થશે. તે ઉપરાંત પાવર ક્ષેત્રમાં રૂ. 45,600 કરોડના અંદાજિત રોકાણ સાથે 5,500 રોજગારનું સર્જન, મિનરલ આધારિત પ્રોજેક્ટ્સ ક્ષેત્રમાં રૂ. 4,000 કરોડના અંદાજિત રોકાણ સાથે 2,000  રોજગારનું સર્જન, એન્જિનિયરિંગ ઓટો અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં રૂ. 13,070 કરોડના અંદાજિત રોકાણ સાથે 8,150 રોજગારનું સર્જન, ઔધોગિક પાર્ક, ટેક્ષટાઈલ્સ અને એપરલ તથા કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં રૂ. 4,469 ૪ કરોડના અંદાજિત રોકાણ સાથે 34,650 રોજગારનું સર્જન, શિક્ષણ ક્ષેત્રમાં રૂ. 3100 કરોડથી વધુના અંદાજિત રોકાણ સાથે  8,200 રોજગારનું સર્જન તેમજ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રૂ. 3500 કરોડના અંદાજિત રોકાણ સાથે 1290 રોજગારનું સર્જન થશે.

ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂત, કૃષિ મંત્રી  રાઘવજી પટેલ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થયેલા આ એમ.ઓ.યુ. અંતર્ગત ઉદ્યોગો પોતાના એકમો સંભવતઃ 2025 થી 2030 વચ્ચે શરૂ કરશે. અમરેલી, વલસાડ, હજીરા, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના વિવિધ જિલ્લાઓના વિસ્તારોમાં આ ઉદ્યોગો શરૂ થવાના છે. એમ.ઓ.યુ. હસ્તાક્ષર પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ  રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે.કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એસ.જે.હૈદર,  એમ.કે.દાસ તેમજ વરિષ્ઠ સચિવો તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.