અમદાવાદઃ શહેરમાં જાણીતા ઉદ્યોગજૂથ ઉપર આવકવેરા વિભાગે તાજેતરમાં દરોડા પાડ્યાં હતા. આઈટીની તપાસમાં આ ગ્રુપ પાસેથી 800 કરોડથી વધારેની બેનામી સંપતિ હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત કેટલાક ડિજીટલ દસ્તાવેજો પણ મળી આવ્યાં હતા. જેની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આઈટીની તપાસના અંતે કરોડોની કરચોરી બહાર આવે તેવી શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જાણીતા જૂથના વેપારના સ્થળ અને તેના સંચાલકોના રહેણાક સહિત લગભગ 45 સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. તપાસ દરમિયાન અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવી હતી. આ સિવાય 20 બેન્ક લોકર અને મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે.
અઠવાડિયા અગાઉ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ગ્રૂપ પર દરોડા પાડ્યા હતા. 9 દિવસ ચાલેલી તપાસ કામગીરીમાં અધિકારીઓએ ફેકટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાક ઠેકાણે તપાસ કરી હતી. જેમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળી આવ્યા હતા. જેનું સતત એક અઠવાડિયા સુધી સ્કેનિંગ ચાલ્યું હતું.
ઓફિસના કમ્પ્યૂટર, લેપટોપ વગેરે પણ સ્કેન કરાયા હતા. જેના આધારે અધિકારીઓએ રૂપિયા 800 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા હતા. આ ઉપરાંત અધિકારીઓને મળેલા ડિજિટલ દસ્તાવેજોને FSLના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. કેટલાક વ્યવહારો અન્ડર બિલિંગ મળ્યા હતા. તપાસમાં ગ્રુપના રીઅલ એસ્ટેટના રોકાણો પણ બિનહિસાબી મળી આવ્યા હતા.
આઈટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્રુપ દ્વારા અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. હવે કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે. અગાઉ 20 લોકર સિઝ કરાયા હતા જે હવે 2-3 દિવસમાં ઓપરેટ કરાશે. અત્યાર સુધી રોકડ અ્ને જ્વેલરી મળી કુલ 40 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી સામે આવે તેવી શકયતા છે.
(PHOTO-FILE)