Site icon Revoi.in

ભરૂચમાં સોનાના દાગીનાની લાખોની લૂંટ કેસના બે શખસોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા

Social Share

ભરૂચઃ  જિલ્લાના નબીપુર રોડ પર સોનાના વેપારી પાસેથી થયેલી સોનાના કરોડોની કિંમતના દાગીનાની લૂંટના કેસમાં બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીને દેવું થઈ જતાં રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ત્રણ આરોપીઓને ભરૂચ પોલીસે ઝડપ્યા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપીને 1.07 કરોડનો મુદ્દામાલ પણ રીકવર કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ નજીક અમદાવાદના સોની વેપારીની કારને અટકાવીને બે કારમાં આવેલા લૂંટારૂ શખસોએ બે કિલે સોનાના દાગીના અને રોકડ રકમની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. આ બનાવમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દેવ નાગર અને મનોજ સોનવણે નામના 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતુ કે, દેવ નાગર કે જે આસ્ટોડિયા વિસ્તારમાં રહે છે અને તેને દેવું થઈ ગયું હોવાથી રૂપિયાની જરૂર હોવાની વાત તેના મિત્ર નીરવ ઉર્ફે રાજુને કરી હતી. નીરવે દેવને કોઈ એક સોની સોનાના દાગીનાઓ લઈને જે જગ્યાએ વેચવા માટે જાય ત્યાં સુધીની રેકી કરવા માટેની જાણ કરી હતી. જેથી દેવે રેકી કરતા જાણવા મળ્યું હતું કે માણેકચોકના એક વેપારી 22મી તારીખે સવારે અમદાવાદથી ગાડીમાં નીકળી જવાના છે, જેથી આરોપીઓ લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી નીરવે દેવને મનોજ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. જ્યારે લૂંટ કરવા માટે દેવ તેના ઓળખીતા જીત રાજપુત પાસેથી એક દિવસ માટે ગાડી ભાડે લઈને વેપારીનો પીછો કરતો હતો. ભરૂચમાં દેવની મુલાકાત મનોજ તથા અન્ય આરોપી સંદીપ પટેલ, કરણ પટેલ આશિષ વાઘ જેઓ નાશિકથી આવ્યા હતા તેમની સાથે થઈ હતી. બાદમાં તેમણે 22મી જૂનના દિવસે ફરિયાદીની કારનો પીછો કર્યો હતો, પરંતુ લૂંટ કરવામાં તેઓ સફળ થયા ન હતા.જ્યારે 23 મી તારીખે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ ફરિયાદીની કારને ઓવરટેક કરી ભરૂચ નવીપુર બ્રિજ નીચે રોકી રોકી ફરિયાદીને ચાકુ તેમજ બંદૂક બતાવીને તેમની પાસેથી સોનાના દાગીના ભરેલી બેગ અને બે મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

​​​​​​​​​​સૂત્રોએ ઉમેર્યું હતું કે, બે કિલો સોનું સહિત રૂપિયા 1 કરોડ 21 લાખના મુદ્દામાલની લૂંટ થતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવીને આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસે થી 1.5 કરોડ ની કિંમતના દાગીના અને 2 લાખ રોકડા કબ્જે કાર્ય છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે નીરવ ઉર્ફે રાજુએ દેવને રૂપિયા 3 લાખ જ્યારે અન્ય આરોપી ઓને 5 – 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું.