Site icon Revoi.in

આતંકીઓનો સામનો કરવા માટે સરકારની પદ્ધતિમાં આવ્યું છે મોટું પરિવર્તન: IAF ચીફ

Social Share

વાયુસેના દિવસ પર ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકને યાદ કરી છે. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક જેવી રણનીતિ આતંકવાદીઓને સજા આપવાનો રાજકીય નેતૃત્વનો સંકલ્પ છે. આતંકવાદી હુમલાઓનો સામનો કરવાના સરકારના વલણમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે.

એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ આગળ કહ્યુ છે કે વર્તમાન પરિસ્થિતિમાં પાડોશથી સુરક્ષાનો માહોલ બેહદ ગંભીર સ્થિતિમાં છે. પુલવામા પર આતંકવાદી હુમલો આપણા સંરક્ષણ પ્રતિષ્ઠાનો માટે સતત ખતરાની યાદ અપાવે છે.

આના પહેલા આજે મંગળવારે વાયુસેના દિવસના પ્રસંગે ત્રણેય સેનાધ્યક્ષોએ દિલ્હી ખાતેના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા, નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીરસિંહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પહેલા વાયુસેનાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો પાકિસ્તાન તરફથી આતંકી હુમલો થાય છે, તો સરકારના આદેશ બાદ વાયુસેના કાર્યવાહી કરશે.

જ્યારે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાને સવાલ કરવામાં આવ્યો કે શું ફરીથી બાલાકોટ એરસ્ટ્રાઈક થશે. જવાબમાં તેમણે કહ્યુ કે જો પાકિસ્તાન તરફથી આતંકી હુમલો થાય છે, તો સરકારના આદેશ બાદ અમે કાર્યવાહી કરીશું.