અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તાની હાલક બદતર બની હતી. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા હતા. ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે તાકિદે રોડ મરામતના કામો પૂર્ણ કરવાના આદેશ અપાયા હતા. દરમિયાન AMC દ્વારા તમામ જગ્યાએ ખાડા પૂરવાની અને રોડ રીસરફેસ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનો દાવો રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ દ્વારા કરવામાં આવ્યા છે. પરંતુ સમગ્ર શહેરમાં કેટલા ખાડા પૂરવામાં આવ્યા અને રોડ પર પેચ વર્ક કરીને રીસરફેસ કરવામાં આવ્યા છે, તેના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. માત્ર રોજના 4500 મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરીને રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ ભાજપના મ્યુનિ.કોર્પોરેશનના શાસકો જણાવી રહ્યાં છે.
અમદાવાદ શહેરમાં વરસાદને લીધે ડ પર ઠેર ઠેર ખાડાં પડ્યા હતા. આમ તો નવરાત્રિ પહેલા જ રોડ મરામતના કામો પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ હજુપણ મરામતના કામો પૂર્ણ થયા નથી. AMC દ્વારા તમામ ઝોનમાં કામગીરી ચાલી રહી છે પરંતુ કયા રોડ કેટલા બનાવવામાં આવ્યા તેની ઝોન વાઈઝ માહિતી જાહેર કરવામાં આવતી નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં પણ રોડ તૂટ્યા છે અને ખાડા પડ્યા છે તેને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે અમે કરી રહ્યાં છીએ. 4500 મેટ્રિક ટન ડામરનો રોજ ઉપયોગ કરીને કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા દોઢ વર્ષમાં જે પણ નવા રોડ બન્યા છે તેમાંથી એક પણ રોડ તૂટ્યો નથી અને વર્ષ 2019 બાદ પણ બનેલા એક પણ રોડ તૂટ્યા નથી.
તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં અત્યારે 36મી નેશનલ ગેમ્સ જે રાષ્ટ્રીય કક્ષાનો રમતોત્સવ છે અને તેમાં વીવીઆઈપી આવે તો ત્યાં નાનું મોટું સમારકામ અને રોડ બનાવવા કે ફૂટપાથ સરખી કરવી વગેરે જરૂરી હોય છે પરંતુ માત્ર ત્યાં જ કામગીરી ચાલે તેવું નથી. દરેક ઝોનમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ રોડ તૂટી ગયા છે અને ખાડા છે હજી પણ રોડ પર માત્ર માટી અને પથ્થર નાખી અને રોડ ને પુરી દેવાની કામગીરી કરવામાં આવે છે. જોકે કેટલા કરોડનો ખર્ચ કરી અને આ કામગીરી કરવામાં આવી રહી છે તેની કોઈ જ માહિતી આપવામાં આવતી નથી એક તરફ કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવે છે.