Site icon Revoi.in

અનંતનાગ: સળગેલી લાશ કુખ્યાત આતંકી ઉજ્જૈર ખાનની હોવાની આશંકા, DNAની કાર્યવાહી હાથ ધરાઈ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગરમાં છુપાયેલા આતંકવાદીઓ સાથે ભારતીય સુરક્ષા દળોની ગત મંગળવારથી અથડામણ ચાલી રહી છે. દરમિયાન અનંતનાગમાં એક આતંકવાદીની સળગેલી લાશ મળી હતી. અથડામણ અને સર્ચેની કામગીરી આજે સતત છઠ્ઠા દિવસે શરૂ કરાઈ હતી. સુરક્ષાદળોને મળેલી લાશના શરીર ઉપરના કપડાની પેટર્ન ઉપરથી સુરક્ષા જવાનો એવુ માની રહ્યાં છે આ લાશ આતંકવાદીની છે. આ લાશ કુખ્યાત આતંકવાદી ઉજ્જૈર ખાનની હોવાની આશંકાને પગલે ડીએનએની કાર્યવાહી કરવામાં આવી છે.

અનંતનાગમાં આજે સવારે સર્વે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એક આતંકવાદી અને ગુમ જવાનને શોધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ડ્રોનના માધ્યમથી કામગીરી કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે સળગેલી લાશ મળી હતી. આ પહેલા અથડામણના પાંચમા દિવસે આ વિસ્તારમાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ઘાણીફુટ ગોળીબાર થયો હતો. જો કે, સોમવારે ગોળીબારની કોઈ ઘટના બની ન હતી.

અનંતનાગના આ ઓપરેશનમાં 3 સુરક્ષા જવાનો શહીદ થયાં છે, સુરક્ષા જવાનો દ્વારા હાઈટેક હથિયારો વડે આપરેશન કરવામાં આવી રહ્યું છે. હાઈ ટેકનોલોજીની મદદથી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધોંચક અને ઉચ્ચ અધિકારી હુમાયું ભટ આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયાં હતા. સુરક્ષા દળોને સળગેલી મળેલી લાશ આતંકવાદી ઉજ્જૈર ખાનની હોવાનું જાણવા મળે છે. જેથી સુરક્ષા જવાનોએ તેની ઓળખ કરવા માટે તેના પરિવારજનોએ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આતંકવાદી ઉપર 10 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.