Site icon Revoi.in

સેના પ્રમુખ નરવણે ચાર દિવસીય શ્રીલંકાની મુલાકાતે પહોંચ્યાઃ બન્ને દેશો વચ્ચે સૈન્ય સંબંધને મજબૂત બનાવવાનો હેતુ

Social Share

દિલ્હીઃ-   ભારતીય થલ સેનાના પ્રમુખ એમએમ નરવણે ભારત અને શ્રીલંકા વચ્ચેના સૈન્ય સંબંધોને મજબૂત કરવાના હેતુથી ચાર દિવસની મુલાકાતે મંગળવારે કોલંબો પહોંચ્યા હતા. તેઓ અહીં ચીન તરફથી સતત પ્રભાવ વધારવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પડકારોની ચર્ચા કરશે.

શ્રીલંકાના તેમના સમકક્ષ જનરલ શાવેન્દ્ર સિલ્વાના આપેલા આમંત્રણ પર ચાર દિવસની મુલાકાતે આવેલા જનરલ નરવણેનું એરપોર્ટ પર શ્રીલંકાના ટોચના જનરલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક ટ્વીટમાં ભારતીય હાઈ કમિશને કહ્યું કે, તેમની આ મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ઊંડા સહકારનો માર્ગ મોકળો કરશે.

આ મુલાકાત દરમિયાન સેના પ્રમુખ શ્રીલંકાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓને મળશે. તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સાથે પણ ખાસ મુલાકાત કરનાર છે. આર્મી ચીફ નરવણેની શ્રીલંકાની આ પ્રથમ મુલાકાત છે. તાજેતરમાં, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ અહીંની મુલાકાત લીધી હતી અને બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી.

સેના પર્મુખની આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે, આર્મી ચીફ જનરલ એમએમ નરવણે શ્રીલંકાના ટોચના નાગરિક અને લશ્કરી નેતૃત્વને મળશે અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધારવાના માર્ગો અંગે પણ ચર્ચા કરશે. તેઓ શ્રીલંકા આર્મીના ગજાબા રેજિમેન્ટલ હેડક્વાર્ટર અને મિલિટરી એકેડેમીની પણ મુલાકાત લેશે.