Site icon Revoi.in

ભારતને મળ્યો અફઘાનિસ્તાનનો સાથ, પાકિસ્તાનને ગણાવ્યું હત્યારું

Social Share

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ  ખૈબર પખ્તૂખ્વાં અને બલૂચિસ્તાનમાં હિંસક ગતિવિધિઓને લઈને ટ્વિટ કરતા પાકિસ્તાનને ઘેર્યું છે. ઘનીના ટ્વિટ પર પલટવાર કરતા પાકિસ્તાને પણ તેમને અફઘાનિસ્તાનની જનતાની સમસ્યાઓ પર ધ્યાન આપવાની સલાહ આપી દીધી હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના બદલાતા સમીકરણોની દ્રષ્ટિએ આ ઘટનાક્રમને જોવામાં આવે છે.

અશરફ ઘનીએ ટ્વિટ કર્યું છે કે ખૈબર પખ્તૂનખ્વાં અને બલૂચિસ્તાનમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરનારાઓ પર થયેલી હિંસાને લઈને અફઘાન સરકાર બેહદ ચિંતિત છે. તેના જવાબમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ બેહદ તીખા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે કે આવા પ્રકારના બેજવાબદાર નિવેદન માત્ર પાકિસ્તાનની આંતરીક બાબતોમાં હસ્તક્ષેપ છે. અફઘાનિસ્તાનની સરકારે અફઘાની જનતાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

ઘનીનો ઈશારો આ ટ્વિટ દ્વારા પશ્તૂન તહાફ્ફુઝ આંદોલન એટલે કે પીટીએમના વરિષ્ઠ સદસ્ય અરમાન લોનીની હત્યા તરફ હતો. લોની બલૂચિસ્તાનમાં એક શાંતિપૂર્ણ ધરણા પર બેઠા હતા અને ત્યારે તેમની હત્યા થઈ ગઈ હતી.

લોનીના પરિવારનો આરોપ છે કે પોલીસે સુનિયોજીત ઢંગથી તેમની હત્યા કરી હતી. મહત્વપૂર્ણ છે કે પીટીએમ પશ્તૂન યુવકોની સૈન્ય કાર્યવાહીમાં થનારા મોત વિરુદ્ધ આંદોલન કરનારું સંગઠન છે. લોનીના સંગઠન દ્વારા વિસ્તારમાં સુરક્ષાના નામે બિછાવવામાં આવેલી લેન્ડમાઈન્સને હટાવવાની પણ માંગણી કરવામાં આવે છે.

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને તેની સેનાની કાર્યવાહીનો વિરોધ દશકાઓથી થઈ રહ્યો છે. 2016માં પ્રકાશિત એક મીડિયા અહેવાલ મુજબ, છ વર્ષમાં એક હજારથી વધારે એક્ટિવિસ્ટ અને હથિયારબંધ ભાગલાવાદીઓની લાશ બલૂચિસ્તાનમાંથી મળી ચુકી છે. ખૈબર પખ્તૂનખ્વાંમાં પણ પખ્તૂન લોકોમાં અસંતોષ છે અને તેઓ ખુદને પાકિસ્તાનથી અલગ ગણાવી રહ્યા છે.

અફઘાનિસ્તાના રાષ્ટ્રપ્રમુખના નિવેદન પાછળ ઘણાં રાજકીય સંદેશ છે. ઘનીનું નિવેદન એવા સમયે આયું છે કે જ્યારે એક દિવસ પહેલા જ લંડનમાં શાહ મહમૂદ કુરૈશીએ યુકેના સાંસદો સાથે અનૌપચારીક બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બલૂચિસ્તાનમાં અશાંતિનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં સ્વતંત્રતા દિવસે પોતાના ભાષણમાં કર્યો હતો. પાકિસ્તાન માટે આર્થિક દ્રષ્ટિએ બલૂચિસ્તાન બેહદ મહત્વનું છે, કારણ કે અહીંની ગેસ પાઈપલાઈન દ્વારા દેશમાં 36 ટકા ગેસ ઉપલબ્ધ થાય છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પણ આ વિસ્તારના ગ્વાદર પોર્ટ સુધી પહોંચે છે.