Site icon Revoi.in

ભોપાલ: કમલા નેહરુ હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં લાગી આગ, 4 બાળકોના મોત

Social Share

ભોપાલ:મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હમીદિયા કેમ્પસમાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીંની કમલા નેહરુ બિલ્ડીંગના બાળરોગ વિભાગમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. SNCUમાં કુલ 40 બાળકોને દાખલ કરાયા હતા, જેમાંથી 36 બાળકોને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તો, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ સીએમ કમલનાથે આ ઘટનાને ‘અત્યંત પીડાદાયક’ ગણાવી હતી.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમણે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે,આરોગ્ય અને તબીબી વિભાગના એસીએસ મોહમ્મદ સુલેમાન તેની તપાસ કરશે.

મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગ પણ હોસ્પિટલ પહોંચ્યા અને બચાવ કામગીરીમાં મદદ કરી. હોસ્પિટલમાંથી મળેલા વીડિયોમાં મંત્રી વિશ્વાસ સારંગ હોસ્પિટલના અધિકારીઓ સાથે મળીને કામ કરતા જોવા મળ્યા હતા

અહેવાલ અનુસાર, વિશ્વાસ સારંગે આશંકા વ્યક્ત કરી છે કે,શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. તેણે કહ્યું કે,વોર્ડની અંદરની સ્થિતિ ‘અત્યંત ડરામણી’ હતી. તેમણે એમ પણ જણાવ્યું કે,સીએમ શિવરાજ સિંહ ચોહાણે મૃતક બાળકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના ત્રીજા માળેથી શરૂ થઈ હતી, જેમાં આઈસીયુ પણ છે. ફતેહગઢ ફાયર સ્ટેશનના પ્રભારી ઝુબીર ખાને જણાવ્યું કે, આગ રાત્રે 9 વાગ્યાની આસપાસ લાગી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે.