Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સી પર આ દિગ્ગજોએ આપ્યો અભિપ્રાય, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: ભારત સરકાર હવે પ્રાઇવેટ ક્રિપ્ટો કરન્સીને લઇને સંસદના શિયાળુ સત્ર દરમિયાન એક બિલ રજૂ કરવા જઇ રહી છે જેમાં આ દરેક ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યારે આ ન્યૂઝ બાદ મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં કડાકો બોલી ગયો હતો. ક્રિપ્ટોકરન્સી અંગે વિશ્વના દિગ્ગજો પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઇએ આ અંગે નિવેદન આપ્યું હતું.

ક્રિપ્ટોકરન્સી અંગે વાત કરતા તેઓએ કહ્યું કે, મારી પાસે કોઇ જ ક્રિપ્ટોકરન્સી નથી, મારી ઇચ્છા હતી કે આ કરન્સી મારી પાસે હોય. ગત સપ્તાહે હું મારા પુત્ર સાથે ડિનર કરી રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું હતું કે તે પણ Ethereumનું માઇનિંગ કરી રહ્યો છે. તે બિટકોઇન અંગે પણ વાતચીત કરી રહ્યો હતો.

અગાઉ એપલના CEO ટીમ કૂકે પણ પણ પોતે ક્રિપ્ટો રોકાણકાર હોવાનું જણાવ્યું હતું અને તેઓ પણ ડિજીટલ કોઇન્સ ધરાવે છે. આ અંગે ટીમ કૂકે એવી સ્પષ્ટતા કરી હતી કે એપલ પે મારફતે ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવાનો કોઇ વિચાર નથી. એપલ ક્રિપ્ટો અંગે વિચાર કરી રહી છે.

નોંધનીય છે કે, સંસદના આગામી શિયાળુ સત્ર દરમિયાન સરકાર 3 વટહુકમ સહિત કુલ 26 નવા બિલ લાવવા જઇ રહી છે. આ તમામ બિલ વચ્ચે દરેકની નજર ક્રિપ્ટોકરન્સી બિલ પર રહેલી છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેશે કે પછી કેટલીક શરતો સાથે તેનું નિયમન કરશે.

અત્યારે દુનિયામાં સાત હજારથી વધારે અલગ અલગ પ્રકારના Crypto Coins ચલણમાં છે. આ એક પ્રકારના ડિજિટલ સિક્કા છે. વર્ષ 2013 સુધી દુનિયામાં ફક્ત એક જ ક્રિપ્ટોકરન્સી BitCoin હતી. બિટકોઈન કરન્સી 2009માં લૉંચ કરવામાં આવી હતી. બિટકોઈન આજે ભારત સહિત આખા વિશ્વમાં લોકપ્રીય ડિજીટલ કરન્સી છે.