Site icon Revoi.in

ગીરના જંગલમાં હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, સહિત તૃણાહારી પ્રાણીઓ વસતી ગણતરી શરૂ

Social Share

જુનાગઢઃ  ગીરના જંગલમાં સિંહ અને દીપડાઓ વસવાટ કરે છે. જંગલમાં સિંહ અને દીપડા તૃણાહારી પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક મેળવતા હોય છે.  જંગલમાં તૃણાહારી પ્રાણીઓની કેટલી વસતી છે, તેની ગણતરી કરવાનો પ્રારંભ તા. 8મી મેથી શરૂ કરાયો છે. જંગલના જુદા જુદા વિસ્તારોમાં ફરીને વન વિભાગનો સ્ટાફ હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, ચોસિંગા, ચિંકારા, જંગલી ભૂંડ સહિતના તૃણાહારી પ્રાણીઓની વસતી ગણતરી કરી રહ્યો છે. એવું વન વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગીરનું જંગલ સિંહ સિવાય અનેક પ્રાણીઓનું ઘર છે. ત્યારે જંગલમાં વસતા તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગીર જંગલ સહિત દરીયા કિનારા વિસ્તારમાં પણ તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. વન વિભાગે ખાસ અલગ અલગ ટીમ બનાવી ગણતરી શરૂ કરવામાં આવી છે. સાસણ ગીર જંગલના 1400 થી વધારે સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયુ છે. આ જંગલમાં વસતા તૃણાહારી પ્રાણીઓની વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમા હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, ચોસિંગા, ચિંકારા, જંગલી ભૂંડ, વાંદરાની સાથે મોરની પણ વસ્તી ગણતરી કરવામાં આવશે.

વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, વન વિભાગના સ્ટાફને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે. જેમા વન વિભાગના નક્કી કરેલા રૂટ પર જીપ્સી અને બાઈક દ્વારા ગણતરી કરવમાં આવશે. તેની સાથે ટેકનોલોજીનો ઉપયોગમાં દૂરબીન તેમજ કેમેરાથી ચકાસણી કરાશે. આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓની કઈ જગ્યાએ નર અને કઈ જગ્યાએ માદા જોવા મળ્યું તેનો પણ અભ્યાસ કરીને પેપરવર્ક કરવામાં આવશે. આ ગણતરી 8 મેના રોજથી શરૂ કરવામાં આવી છે, જે 20 મે સુધી ચાલશે અને ત્યાર બાદ અંદાજીત ગીર જંગલમા કેટલાં તૃણાહારી પ્રાણીઓ વસવાટ કરે છે તેનો અંદાજ આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,, આજે ગીર જંગલમા સિંહ અને દીપડાનો ખોરાક મનાતા તૃણાહારી પ્રાણીઓ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી ઉનાળામાં કરવી વધુ સરળ છે. કારણ કે, આ પ્રાણીઓ ઉનાળામાં સૌથી વધુ પીવાના પાણીના પોઇન્ટ ઉપર આવે છે, જેનાથી તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આસાની થાય છે.