Site icon Revoi.in

વઢવાણ માર્કેટ યાર્ડમાં 3000 ખેડુતો પાસેથી મણના રૂ.1067ના ટેકાના ભાવે ચણાની ખરીદી કરાશે

Social Share

સુરેન્દ્રનગરઃ વઢવાણ માર્કેટીંગયાર્ડમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો શુભારંભ કરાયો  છે. રાજ્ય સરકારે ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કર્યા બાદ વઢવાણ તાલુકામાં  3 હજાર જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાથી  હવે ક્રમશ: ખરીદી શરૂ કરવામાં આવી છે.  વઢવાણ તાલુકાના ખેડૂતોને કપાસના ભાવ તળીયે પહોંચતા ચણા અને રાયડાના ભાવ બાબતે આશા બંધાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ પાકને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા છે. જેમાં કપાસના ભાવ તળીયે બેસી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.ત્યારે કેન્દ્ર સરકારે રવિપાકોને ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ખરીદી માટે કેન્દ્રો જાહેર કરાયા છે. જે અંતર્ગત વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં ચણાની ખરીદીનો પ્રારંભ બુધવારે કરાયો છે.આ તકે ચેરમેન રામજીભાઇ ગોહેલ, સેક્રેટરી દેવેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવનાર છે.જેમાં ચણા પ્રતિક્વિન્ટલ રૂ.5375 અને રાયડો 5450ના ભાવે ખરીદી કરાશે.

આ અંગે સેક્રેટરી દેવેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ કે વઢવાણ તાલુકાના 3 હજાર ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 125 મણ ખરીદી કરાશે.વઢવાણમાં હાલ ચણાની ખરીદી શરૂ થઇ છે.જેમાં એક મણે રૂ.1067 ખેડૂતોને ચુકવવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઝાલાવાડમાં નર્મદાના પાણીથી ઘણાબધા વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઊભી થતાં કૃષિ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. કપાસના ઉત્પાદનમાં ઝાલાવાડ મોખરે રહેતું હોય છે. આ વર્ષે કપાસના ભાવ ઘટી જતા ખેડુતોની હાલત કફોડી બની હતી. હવે સરકારે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરતા ખેડુતોને રાહત થઈ છે.

Exit mobile version