Site icon Revoi.in

ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે પરીક્ષા 19મી એપ્રિલથી શરૂ થશે

Social Share

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ચાલુ વર્ષે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 21 એેપ્રિલથી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્યમાં ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બે દિવસ વહેલી એટલે તા. 21 એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા હવે તા. 19 એપ્રિલથી શરૂ થશે, જે 28 એપ્રિલના રોજ પૂર્ણ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરના પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ થતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 9થી 12 તમામ પરીક્ષાઓ બે સપ્તાહ પાછળ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો અને 11 એપ્રિલથી શરૂ કરાવાની અગાઉ જાહેરાત કરાઈ હતી. જો કે, હવે બોર્ડ દ્વારા ફરી એકવાર ધોરણ-9 અને 11ની વાર્ષિક પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાનો અગાઉ જે કાર્યક્રમ જાહેર કરાયો હતો તે અનુસાર પરીક્ષા તારીખ 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન લેવાની જાહેરાત કરાઈ હતી. જો કે, કોરોના નડતા  બીજી વાર પાછળ લઈ જવાનો નિર્ણય લેવાયો હતો અને હવે જવાહર નવોદયની પરીક્ષાના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાના તારીખ ફરીવાર બદલવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પુણે ખાતેના નવોદય વિદ્યાલય સમિતિ ક્ષેત્રિય કાર્યાલય દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક વર્ષ 2022-23 માટે જવાહર વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ તા 30 એપ્રિલના રોજ લેવામાં આવશે.. જેથી ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા માટે બોર્ડ દ્વારા નિયત થયેલી તારીખોમાં ફેરફાર કરવા માટે વિનંતી કરી હતી. જેના લીધે શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે.