Site icon Revoi.in

ગાંધીનગર સચિવાલયથી અમદાવાદ પોઈન્ટ સેવાની નવી 70 ST બસોનું CMએ કર્યું લોકાર્પણ

Social Share

ગાંધીનગરઃ પાટનગરના સચિવાયલ સહિત વિવિધ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં કામ કરતા ઘણાબધા કર્મચારીઓ અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરતા હોય છે. ઉપરાંત સરકારી કચેરીઓમાં કામ અર્થે આવતા નાગરિકો પણ અમદાવાદથી ગાંધીનગર જતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા વર્ષોથી ગાંધીનગર-અમદાવાદ વચ્ચે પોઈન્ટ સેવાની બસ દોડાવવામાં આવી રહી છે. હવે સચિવાલયથી પોઈન્ટ સેવાની 70 નવીન બસોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેથી અમદાવાદ- ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મચારીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી એસ.ટી. બસની સુવિધા મળતી થશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી  નવી 70 એસ.ટી. બસોનું લોકાર્પણ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું.  સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા 25 લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા-આવવાની સેવાઓ પૂરી પાડે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે. તદઅનુસાર, 2022-23 અને 2023-24ના બજેટ પ્રાવધાન અન્વયે સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ 2812 નવા વાહનો પેસેન્‍જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવશે. આ નવા વાહનો પૈકી રૂ. 26 કરોડના ખર્ચે 70 બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થયું હતું.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં 1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની આ 70 નવી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે વેળાએ વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.