Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે ગાઝિયાબાદમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ કૈલાસ માનસરોવર ભવનનું ઉદ્દઘાટન કરશે

Social Share

કાનપુર: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે ગાઝિયાબાદમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટ કૈલાસ માનસરોવર ભવનનું ઉદ્દઘાટન કરશે. ઈન્દિરાપુરમના કાનાવની નજીક કૈલાસ માનસરોવર ભવન બનીને લગભગ તૈયાર છે. જેને લઈને ગાઝિયાબાદના સાંસદ જનરલ વી.કે.સિંહ, અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થી, રાજ્યના સ્વાસ્થ્યમંત્રી અતુલ ગર્ગ અને જિલ્લા અધિકારીઓએ ગુરુવારે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

આ દરમિયાન ગાઝિયાબાદના ડીએમ અને અન્ય વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા માહિતી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભવનનું ઉદ્દઘાટન 12 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે કરશે. જિલ્લા અધિકારી અજયશંકર પાંડેએ જણાવ્યું હતું કે, શક્તિખંડ -4 માં બનાવવામાં આવેલા આ ઇમારતનું ઉદ્દઘાટન 13 ડિસેમ્બરે થવાનું હતું,પરંતુ બુધવારે રાત્રે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે આ કાર્યક્રમ 12 ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે યોજાશે.

યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા

મુખ્યમંત્રી યોગીએ કાવર યાત્રાળુઓને રહેવા માટે અને દર વર્ષે કૈલાસ માનસરોવર યાત્રા પર આવનારા લોકો માટે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ વર્ષ 2017માં કર્યો હતો. તેના નિર્માણની જવાબદારી ઉત્તરપ્રદેશ રાજકીય નિર્માણ નિગમને આપવામાં આવી છે. આશરે 57.99 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કૈલાસ માનસરોવર ભવનનું નિર્માણ ઇન્દિરાપુરમના શક્તિખંડ-4 માં કરવામાં આવ્યું છે.

આ ભવનનું નિર્માણ જયપુરથી લાવવામાં આવેલા શાનદાર પત્થરોથી કરવામાં આવ્યું છે. નવ હજાર ચોરસ મીટર જમીન પર બનેલા આ ભવનમાં બે બેડ અને ચાર બેડના રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં લગભગ 280 યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા છે. આ સાથે 188 જેટલા વાહનો પાર્ક કરવાની પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાના કારણે નિર્માણ કાર્યમાં લાગ્યો સમય

ઉત્તરપ્રદેશ રાજકીય નિર્માણ નિગમના પ્રોજેક્ટ મેનેજર એસ.કે. ત્યાગીએ જણાવ્યું હતું કે,પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો સમય માર્ચ 2020 સુધી નક્કી કરવામાં આવ્યો હતો,પરંતુ પ્રદૂષણને કારણે અને પછી લોકડાઉન લાગુ થવા પર કામદારો પોતાના વતન પરત ફરવા પર નિર્માણ કાર્ય સપૂર્ણરૂપે રોકી દેવામાં આવ્યું હતું,જેના કારણે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં લગભગ ચાર મહિના વિલંબ થયો હતો.

-દેવાંશી