Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદાતા ભાજપના કોર્પોરેટરે જ કરી ફરિયાદ

Social Share

અમદાવાદઃ  શહેરના મ્યુનિ.કોર્પોરેશન   દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. અને શહેરમાં ઘેર ઘેર સુકો અને ભીના કચરા માટે બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે. મ્યુનિ.દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા ડસ્ટબીન હલકી ગુણવત્તાના હોવાની ફરિયાદ ઊઠી છે. હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે..ઘાટલોડિયાના ભાજપના જ કોર્પોરેટરએ ફરિયાદ કરતા મામલો સામે આવ્યો છે. ભાજપના કાઉન્સિલરે હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદ્યા હોવાની ફરિયાદ કરી છે. કોર્પોરેટરની ફરિયાદ બાદ ડસ્ટબીનની ખરીદી સામે પણ અનેક સવાલો ઊઠ્યા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોને સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવા માટે 33 લાખ ડસ્ટબીનની ખરીદી કરવામાં આવી છે. 20 કરોડના ખર્ચે 33 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયા વોર્ડમાં ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોએ સ્થાનિક કાઉન્સિલરને ફરિયાદ કરી છે કે, એએમસી દ્વારા આપવામાં આવતા ડસ્ટબીન તૂટેલા અને હલકી ગુણવત્તાના છે. હલકી ગુણવતાના ડસ્ટબીન ખરીદવામાં આવતા લોકોને આપ્યા પહેલા જ ડસ્ટબીન તૂટી જાય છે. લોકોની ફરિયાદ બાદ ભાજપના કાઉન્સિલરે જ સેન્ટ્રલ વર્કશોપના ડાયરેકટ વિજય મિસ્ત્રીને હલકી ગુણવત્તાના ડસ્ટબીન ખરીદ્યા હોવાની ફરિયાદ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ઘાટલોડિયા વોર્ડ ઓફિસની સામે AMCના ફિજીયોથેરાપી સેન્ટરમાં હજારોની સંખ્યામાં તૂટેલા ડસ્ટબીન પડ્યા છે. લોકોને આપ્યા પહેલા જ ડસ્ટબીન તૂટી ગયા છે. અથવા તો વિતરણ કર્યા બાદ ડસ્ટબીન તૂટી જતા લોકો તૂટેલા ડસ્ટબીન પરત આપી ગયા છે. એએમસી દ્વારા 20 કરોડના ખર્ચે 33 લાખ ડસ્ટબીન ખરીદવામાં આવ્યા છે. ડસ્ટબીન ખરીદવા માટે એએમસીએ બે કંપનીઓને કોન્ટ્રાકટ આપ્યો છે. એએમસી દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી 10 લિટરનું 550 ગ્રામ વજન ધરાવતું એક ડસ્ટબીન 116 રૂપિયામાં ખરીદવામાં આવ્યું છે. જે સામાન્ય રીતે બજારમાંથી 50થી 60 રૂપિયામાં મળતું હોવાનું કહેવાય છે. એક ડસ્ટબીનના મ્યુનિ.એ  116 રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવ્યા છે.

વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે તૂટેલા ડસ્ટબીન વિતરણ કરવામાં આવ્યા છે. ભાજપના સત્તાધીશો કચરો અને ડસ્ટબીનના નામે પણ ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેમજ  સેન્ટ્રલ વર્કશોપના ડાયરેક્ટર સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.  આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે ડસ્ટબીન ખોલવામાં તકલીફ થાય છે. ડસ્ટબીન ખોલવામાં હેન્ડલ અને ઢાંકણું તૂટી જાય છે. જે ડસ્ટબીન તૂટ્યા છે એનું રિપ્લેસમેન્ટ કરવા કંપની સાથે કરાર કરેલ છે. ડસ્ટબીનની ક્વોલિટીનો રિપોર્ટ એએમસી પાસે છે. ક્વોલિટીમાં કોઈ વાંધાજનક નથી. પરંતુ ડસ્ટબીન ખોલવામાં તૂટી જાય છે. ત્રણ વર્ષ પહેલાં પણ એએમસી આ જ ડસ્ટબીન આપ્યા હતા. જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા હતા. ત્યારે હવે ફરીથી નવા ડસ્ટબીનની ક્વોલિટી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. લોકો સુધી પહોંચે તે પહેલાં જ હજારો ડસ્ટબીન તૂટી ગયા છે. ત્યારે નવા ડસ્ટબીન લોકોને આપ્યા પહેલા જ તૂટી જતા અનેક સવાલો ઉભા થયા છે. એએમસી દ્વારા તપાસ કરવામાં આવે તો ડસ્ટબીન ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે.