Site icon Revoi.in

અમદાવાદની સાબરમતી જેલના સહાયકને કેદીના સગાઓએ હુમલો કરીને મારમાર્યાની ફરિયાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી ગણાતી અમદાવાદની  સાબરમતી જેલમાં કેદીઓ અને જેલના સિપાઈઓ વચ્ચે અવાર-નવાર માથાકૂટ તો થતી હોય છે. ત્યારે જેલના સહાયક પર કેદીના સગાઓએ મારામારી કરી હતી. એટલું જ નહીં છરીથી પણ હુમલો કર્યો હતો. આ બનાવની જેસ સહાયક દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે, કે.  મૂળ બનાસકાંઠાના અને હાલ સાબરમતી જેલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા અશોક ચૌધરી વર્ષ 2018માં જેલ વિભાગમાં ભરતી થયા હતા અને હાલ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં જેલ સહાયક તરીકે નોકરી કરે છે. સોમવારે તેમને ઇમરજન્સી કાચા કામના આરોપીની સારવાર કરાવવાની નોકરી ફાળવવામાં આવતા આરોપીને લઇને સિવિલ હોસ્પિટલ ગયા હતા. સાંજે પરત આવીને કાચા કામના આરોપીને નવી સેન્ટ્રલ જેલમાં જમા કરાવી ગેટમાંથી બહાર નીકળ્યા ત્યારે અગાઉ જેલમાં રહી ચૂકેલો આરોપી રઇશખાન પઠાણ, તેનો ભાઇ ફુરકાન પઠાણ અને અન્ય બે શખ્સો ઉભા હતા. રઇશખાને અશોકભાઇને બોલાવીને ઉભા રાખ્યા હતા અને આ ચારેય શખ્સોએ કેમ તમે મારા ભાઇ તબરેઝ પઠાણને જેલમાં હેરાન કરો છો કહીને બોલાચાલી કરીને ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં ચારેય શખ્સોએ ભેગા મળીને અશોકભાઇને માર મારવા લાગ્યા હતા અને રઇશખાને છરી કાઢી અશોકભાઇને ગરદનના ભાગે મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી છરી શરીરના અન્ય ભાગે વાગી જતા આસપાસના લોકો દોડી આવતા આ ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.

આ બનાવ બાદ અશોકભાઇને જેલની હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડ્યા હતા. ચારેય શખ્સો અશોકભાઇનો ફોન અને રોકડ રકમ પણ લૂંટી ગયા હતા. આ મામલે રાણીપ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version