Site icon Revoi.in

પવિત્ર શ્રાવણ માસમાં કાશી વિશ્વનાથ મંદિરમાં VIP અને પ્રોટોકોલ દર્શન પર સદંતર પ્રતિબંધ

Social Share

વારાણસી, 8 જુલાઈ 2026: જો તમે આ પવિત્ર શ્રાવણ માસમાં ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત વિશ્વપ્રસિદ્ધ બાબા કાશી વિશ્વનાથના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વર્ષે શ્રાવણના આખા મહિના દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરમાં વીઆઈપી અને પ્રોટોકોલ દર્શન વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારની વિશેષ ભલામણ કે વીઆઈપી એન્ટ્રીને મંજૂરી આપવામાં આવશે નહીં અને દેશ-વિદેશથી આવતા તમામ શ્રદ્ધાળુઓએ સામાન્ય કતાર (લાઈન) માં ઊભા રહીને જ બાબાના દર્શન કરવા પડશે. આ વર્ષે શ્રાવણ માસ 30 જુલાઈ 2026 થી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026 (રક્ષાબંધન) સુધી ચાલશે. તેને ધ્યાનમાં રાખીને વારાણસી જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને મંદિર પ્રશાસનની સંયુક્ત બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ વહીવટી તંત્રએ ભક્તોને નકલી વીઆઈપી દર્શન કરાવવાના બહાને છેતરતા દલાલો અને લેભાગુ તત્વોથી સાવધ રહેવા અપીલ કરી છે.

મંદિર પ્રશાસને કડક શબ્દોમાં જણાવ્યું છે કે, શ્રાવણ દરમિયાન વીઆઈપી દર્શન માટેની કોઈ વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. કોઈ પણ વગદાર વ્યક્તિ કે અધિકારીની ભલામણ અથવા વિનંતીને સ્વીકારવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓને કોઈના બહેકાવવામાં કે લાલચમાં ન આવવા અને માત્ર સામાન્ય લાઈન દ્વારા જ દર્શન કરવા જણાવાયું છે. પ્રોટોકોલ હેઠળ આવતા મહાનુભાવોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ મહિના દરમિયાન દર્શન માટે કોઈ અનુરોધ પત્ર ન મોકલે, કારણ કે તમામ વિનંતીઓ સીધી જ રદ કરવામાં આવશે.

સામાન્ય દિવસોમાં શ્રદ્ધાળુઓ ગેટ નંબર-4, કાશી દ્વાર માર્ગ 4 બી, નદું ફારિયા પ્રવેશ માર્ગ, સિલ્કો પ્રવેશ માર્ગ, ઢુંઢીરાજ પ્રવેશ માર્ગ, સરસ્વતી ફાટક પ્રવેશ માર્ગ, ભૈરવ દ્વાર પ્રવેશ માર્ગ (ગંગા ઘાટ તરફથી) મંદિરમાં પ્રવેશ મેળવી શકે છે. ચોમાસાના કારણે જો ગંગા નદીના જળસ્તરમાં વધારો થશે, તો સુરક્ષાના કારણોસર શ્રી કાશી વિશ્વનાથ મંદિર ઘાટ તરફથી થતો પ્રવેશ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવી શકે છે. સરકારના નિર્દેશ પર સ્થાનિક કાશીવાસીઓ માટે એક ખાસ રાહત આપવામાં આવી છે. શ્રાવણ મહિનાના સોમવાર અને તહેવારોના દિવસો સિવાય, બાકીના તમામ દિવસોમાં કાશીના સ્થાનિક લોકો માટે રોજ સવારે ૪ થી ૫ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી વિશેષ ‘ઝાંખી દર્શન’ની સુવિધા ઉપલબ્ધ રહેશે.

જે ભક્તો કોઈ કારણસર કાશી પહોંચી શકે તેમ નથી, તેમના માટે મંદિર પ્રશાસન દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન બાબા વિશ્વનાથના દર્શન અને પૂજા-આરતીનું સીધું પ્રસારણ (લાઇવ સ્ટ્રીમિંગ) કરવામાં આવશે. ભક્તો મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ, સત્તાવાર યુટ્યુબ ચેનલ અને સત્તાવાર બ્રોડકાસ્ટ પાર્ટનર ટાટા સ્કાયના પ્લેટફોર્મ પર લાઈવ દર્શનનો લાભ લઈ શકશે.

વહીવટી તંત્રની બેઠકમાં નક્કી થયા મુજબ, મંદિરમાં પ્રવેશતા પહેલા શ્રદ્ધાળુઓ સુરક્ષાના કારણોસર પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે. સ્માર્ટ વોચ (ડિજિટલ ઘડિયાળ), મોબાઈલ ફોન, ઈયરફોન, મોટો સામાન કે બેગ, કોસ્મેટિક આઈટમ્સ, તેમજ તંબાકુ કે અન્ય નશીલા પદાર્થો સાથે રાખીને લાઈનમાં ન ઉભા રહે. ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ તમામ સામાન પોતાની હોટેલ કે ધર્મશાળામાં જ મૂકીને આવે, જેથી દર્શન દરમિયાન કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

Exit mobile version