Site icon Revoi.in

વિશ્વ બજારોમાં ભારતીય માલની માંગમાં સતત વધારોઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ‘રોજગાર મેળા’ના ભાગરૂપે વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs)માં 51,000 નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા. આ પ્રસંગે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે દેશ ગૌરવ અને આત્મવિશ્વાસથી ભરેલો હોય તેવા વાતાવરણમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું, “આપણું ચંદ્રયાન અને તેનું રોવર પ્રજ્ઞાન ચંદ્ર પરથી સતત ઐતિહાસિક ચિત્રો મોકલી રહ્યા છે.” વડાપ્રધાને કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં તેમની સરકારના પ્રયાસોએ પરિવર્તનનો બીજો નવો તબક્કો દર્શાવવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ભારતે રેકોર્ડ નિકાસ કરી હતી જે દર્શાવે છે કે વિશ્વ બજારોમાં ભારતીય માલની માંગ સતત વધી રહી છે.

તેમણે કહ્યું, “વૉકલ ફોર લોકલના મંત્રને અનુસરીને, ભારત સરકાર મેડ ઈન ઈન્ડિયા લેપટોપ, કોમ્પ્યુટર જેવી પ્રોડક્ટ ખરીદવા પર પણ ભાર આપી રહી છે. તેના કારણે મેન્યુફેક્ચરિંગ પણ વધ્યું છે અને યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે.તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઘણા મોટા ફેરફારો કર્યા છે.

મોદીએ આ પ્રસંગે પ્રધાનમંત્રી જન ધન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેણે ગામડાઓ અને ગરીબોના આર્થિક સશક્તિકરણ તેમજ રોજગાર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી છે. આ જોબ ફેરનું સમગ્ર દેશમાં 45 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. રોજગાર મેળા દ્વારા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસમાં કર્મચારીઓની ભરતી કરી છે.

વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર, આ જોબ ફેર રોજગાર સર્જન પ્રત્યે વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપવા તરફનું એક પગલું છે. તેમણે કહ્યું કે આનાથી રોજગાર સર્જનને વેગ મળશે અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી અને સશક્તિકરણની તકો મળશે.

Exit mobile version