Site icon Revoi.in

ધો.6થી 12માં ઓફલાઈન જ વર્ગો ચાલુ રાખીને 30 ટકા કોર્ષ ઘટાડોઃ શાળા સંચાલક મંડળ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. એટલે કે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે. હાલ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન એમ બન્ને માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ કોરોનાના ડરને લીધે શાળાઓમાં આવવા માગતા ન હોય તેમને ઘેર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ ઓનલાઇન શિક્ષણમાં ઘણો અભ્યાસક્રમ બાકી રહી ગયો છે જેથી અભ્યાસક્રમમાં 30 ટકા કાપ મુકવામાં આવે તેવી સંચાલક મંડળે માંગણી કરી છે. ઉપરાંત ધોરણ 6થી 12ના વર્ગ સંપૂર્ણ ઓફલાઇન કરવા માંગણી કરી છે.

રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકાર સમક્ષ એવી રજુઆત કરી છે કે,  CBSE બોર્ડમાં 30 ટકા કોર્ષ ઘટાડવામાં આવ્યો તે પ્રમાણે ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્ષ ઘટાડવામાં આવે.ગુજરાત બોર્ડમાં ઓનલાઇન અભ્યાસ ચાલતો હતો. જેમાં હજુ અભ્યાસક્રમ બાકી છે અને એક સત્ર પૂરું થયું છે.  જેથી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી ના પડે માટે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડવો જોઈએ. ઉપરાંત સંચાલક મંડળે માંગણી કરી છે કે, અત્યારસુધી ધોરણ 6થી 12ના વર્ગ ઓનલાઇન અને ઓફલાઇન ચાલુ હતા. તેમાંથી હવે માત્ર ઓફલાઇન જ  ચાલુ રાખવા જોઈએ. કેસ ઘટ્યા છે અને નિયમિત બધું ચાલી રહ્યું છે તો ધોરણ 6થી 12ના વર્ગ પણ ઓફલાઇન ચાલુ રાખવા જોઈએ. ધોરણ 1થી 5ના વર્ગ ઓનલાઇન અને ઓફલાઇન ચાલે તો તે કરી શકાય પરંતુ ધોરણ 6થી 12 હવે ફરજિયાત ઓફલાઇન કરવા જોઈએ.