Site icon Revoi.in

મણિપુરના કેટલાક વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત,થોડા કલાકો માટે જરૂરી વસ્તુઓની કરી શકાશે ખરીદી

Social Share

ઈમ્ફાલ : હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં આજે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. જેથી લોકો જરૂરી વસ્તુઓ ખરીદી શકે.

વહીવટીતંત્રે CrPCની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાદ્યો છે, તે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી હળવો રહેશે. શનિવારે પણ બપોરે 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બે કલાકની છૂટ આપવામાં આવી હતી.

એન બિરેન સિંહે શનિવારે રાત્રે નોટિફિકેશનની કોપી શેર કરતાં ટ્વીટ કર્યું હતું કે ચુરાચંદપુર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે અને રાજ્ય સરકાર અને વિવિધ હિતધારકો વચ્ચેની વાતચીત પછી, મને શેર કરતાં આનંદ થાય છે કે નીચે આપેલ વિગતો મુજબ કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી..

ચુરાચંદપુર જિલ્લા મેજિસ્ટ્રેટ શરથ ચંદ્ર અરોજુ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના મૂલ્યાંકનના આધારે છૂટની સમીક્ષા કરવામાં આવશે અને સૂચિત કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના સંગઠન ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (એટીએસયુએમ) દ્વારા મેઇતી સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી) કેટેગરીમાં સામેલ કરવાની તેમની માંગનો વિરોધ કરવા માટે માર્ચ બોલાવવામાં આવી હતી. ‘આદિવાસી એકતા માર્ચ’ નામના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આદિવાસીઓ અને બહુમતી મેઇતી સમુદાયના સભ્યો વચ્ચેની હિંસક અથડામણોને પગલે 3 મેના રોજ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, જેણે અત્યાર સુધીમાં હજારો વિસ્થાપિત કર્યા છે અને ઓછામાં ઓછા 54 માર્યા ગયા છે.