Site icon Revoi.in

ક્ષત્રિય સમાજ દ્વારા આશાપુરા મંદિરેથી જય ભવાનીના નારા સાથે નારી અસ્મિતા ધર્મરથનું પ્રસ્થાન

Social Share

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજ નારાજ બન્યો હતો. અને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માગણી કરવામાં આવી હતી પણ ભાજપએ રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજે તમામ બેઠકો પર ભાજપ સામે મોરચો માંડ્યો છે. અને  રાજકોટના આશાપુરા માતાજીના મંદિરેથી આંદોલન સમિતિના આગેવાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધર્મરથ 200 ગામડાં ફરશે.

રાજકોટના આશાપુરા માતાજીના મંદિરેથી  ધર્મરથના પ્રસ્થાન સમયે ‘ક્ષત્રિય એકતા ઝિંદાબાદ’, ‘નારી કા અપમાન નહીં સહેંગે’, ‘જય ભવાની’ સહિતના નારા લાગ્યા હતા. આ ધર્મરથ 200થી વધુ ગામડાંમાં ફરશે અને ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વરણના લોકોને સત્તાપક્ષ વિરુદ્ધ મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે. ગુજરાતના 5 ઝોનમાં આ રીતે ધર્મરથ પ્રસ્થાન કરવાનો છે આ અંગે ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો ધર્મરથ એ કોઈ સામે પડકાર માટેની લડત નથી. ભારતમાં જે રીતે નૈતિકતાનું અધઃપતન થઈ રહ્યું છે ત્યારે એને અટકાવવા માટે આ ધર્મરથ ગામેગામ ફરશે. ક્ષત્રિય સમાજ તેમજ અન્ય વર્ગોને 100 ટકા મતદાન કરવા માટે સમજણ આપવામાં આવશે. અમારો મુદ્દો સત્તાપક્ષ સમજી રહ્યો નથી, જેથી તેનાની વિરુદ્ધમાં મતદાન કરવું અને સક્ષમ ઉમેદવારને મત આપવા અપિલ કરવામાં આવશે.  ગુજરાતના 5 ઝોનના અલગ અલગ જિલ્લાઓમાંથી ધર્મરથ પ્રસ્થાન કરાયા છે. જામનગરમાં દ્વારકાથી તો કચ્છમાં આશાપુરા માતાજીના મઢથી ધર્મરથનું પ્રસ્થાન થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ધર્મરથનું અંબાજીથી આજે પ્રસ્થાન કરાશે.

રાજકોટનાં પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકોટ સહિત 7 જગ્યાએથી ધર્મરથ નીકળી રહ્યો છે. રાજ્યની તમામ લોકસભા બેઠક પરથી ક્ષત્રિય સમાજનો ધર્મરથ નીકળવાનો છે. ગામડાંમાં ક્ષત્રિય સમાજનું એક ઘર હોય તોપણ તમામ લોકોએ ખાતરી આપી છે કે બાપુ અમે તમારી સાથે છીએ, કારણ કે ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ તમામ સમાજની બહેન-દીકરીઓ છે. સુશીલાબા જાડેજાએ જણાવ્યું હતું કે જ્યારે નારી અસ્મિતાનો સવાલ હોય અને ક્ષત્રિય સમાજના ભાઈઓ ધર્મરથ પ્રસ્થાન કરી રહ્યા હોય ત્યારે રાજપૂતાણીઓ પણ કઈ રીતે પાછળ રહે. સંકલન સમિતિના આદેશ અનુસાર બહેનો પ્રતીક ઉપવાસ પર બેઠી છે, જેથી આજે અમે બહેનો-ભાઈઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છીએ કે મા આશાપુરા તેમની લડતમાં સાથ આપે. અસ્મિતાના સવાલ પર ચેડાં થયાં છે. એના માટે તમામ બહેનો એકઠી થઈ છીએ. જ્યારે ભાર્ગવીબા ગોહિલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ દરેક ગામમાં ફરશે. નારી અસ્મિતા માટે ધર્મજાગૃતિ અર્થે આ ધર્મ રથ નીકળ્યો છે. અસત્ય સામે સત્યને કઈ રીતે રજૂ કરવું એ આ ધર્મરથનો મુખ્ય મુદ્દો છે.