ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી છે, ત્યારે વિવિધ કર્મચારી મંડળો પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા લડત કરી રહ્યા છે, ત્યારે પોલીસ પરિવારોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. અન્ય રાજ્યોની જેમ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓના પરિવારના એક સભ્યને રહેમ રાહે નોકરી આપવાની પડતર માંગણીને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારોએ ઉમટી પડી ધરણા પ્રદર્શન કર્યા હતા. જો કે જાહેર રજાના દિવસે પણ ધરણાં પર બેઠેલા 50 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી લેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર સામે એક પછી એક સંગઠનો પોતાની માંગણીઓ લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવી રહ્યા છે. જેનાં કારણે પોલીસની ખો નીકળી જવા પામી છે. વીવીઆઈપી બંદોબસ્તની સાથો સાથ આંદોલનકારીઓ પણ પોતાની વિવિધ માગણીઓ સંદર્ભે ગાંધીનગર આવીને ધરણા પ્રદર્શન કરી રહ્યા હોવાથી પોલીસ ઘણાં દિવસોથી એલર્ટ મોડ ઉપર જ ફરજ બજાવી રહી છે. આજે જાહેર રજાના દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે રહેમ રાહે નોકરીની પડતર માંગણીઓ સંદર્ભે પોલીસ પરિવારો દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જેનાં કારણે પોલીસ ખડેપગે તૈનાત કરી દેવાઈ હતી. પોલીસ જવાનોનાં મૃત્યુના કિસ્સામાં રહેમરાહે નોકરી મેળવવા માટે ઘણાં લાંબા સમયથી પોલીસ પરિવારો દ્વારા રાજય સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. જો કે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં આજદિન સુધી રહેમ રાહે નોકરી સહિતની માંગણી બાબતે સરકાર કોઈ હકારાત્મક વલણ અપનાવવા તૈયાર નથી. આવા સંજોગો પોલીસ પરિવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈને રહેમ રાહે નોકરી મુદ્દે સરકાર સત્વરે નિરાકરણ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ પરિવારના સભ્ય રાહુલ રાવલે જણાવ્યું હતું કે, સરકાર ધ્વારા ખોટો પરિપત્ર કરીને રહેમ રાહે નોકરી આપવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર માંગણીઓ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી.