Site icon Revoi.in

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના લીધે મોટેરા રોડનો કેટલોક ભાગ એક વર્ષ સુધી બંધ રહેશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઘણા સમયથી મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. હવે આ પ્રોજેક્ટની કામગીરી શહેરના મોટેરા રોડ પર ચાલી રહી છે. જેમાં હવે આ કામગીરીના લીધે મોટેરા રોડનો કેટલોક ભાગ આજથી એક વર્ષ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એક નવું ડાઈવર્ઝન પણ આપવામાં આવ્યું છે

સૂત્રોના જણાવ્યા મુજબ મોટેરામાં  રસ્તો બંધ કરવા અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પ્રસિદ્ધ કર્યું છે. જેમાં મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ ત્રણ રસ્તા, ઊર્જા મોટેરા કોમ્પ્લેક્સની સામે મેટ્રો પિલ્લર નંબર P-537થી ખોડિયાર ચાર રસ્તા સૃષ્ટી આર્કેડના ખુણા સુધીના રોડની બન્ને બાજુ 7-7 મીટર રસ્તો છોડી બાકીનો મધ્ય ભાગનો રસ્તો બેરિકેટિંગથી તા. 21 મે 2021થી તા. 21 મે 2022 સુધી બંધ રહેશે. આ રસ્તો બંધ રહેશે તે દરમિયાન ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે જેમાં સેતુ સ્કાર્લેટથી ડાબી બાજુ વળાંક લઈને ખોડિયાર ચાર રસ્તા સૃષ્ટી આર્કેટના ખુણા સુધી 10 મીટર જેટલું બેરિકેટ કરીને બાકીનો રસ્તો વાહન-વ્યવહાર માટે ખુલ્લો રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારા વાહનચાલકો મોટેરા સ્ટેડિયમથી સૃષ્ટી આર્કેટ તરફ આવન-જાવન કરવા માટે 7-7 મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવેલા રસ્તાઓનો ઉપયોગ કરી શકાશે.

બીજા તબક્કા દરમિયાન મોટેરા સ્ટેડિયમ રોડ પર સહજાનંદ ત્રણ રસ્તાથી આગળની બાજુએ ડાબી તરફ માધવ પ્લાઝાના ખુણેથી મોટેરા ગામ T પછી આવતા સ્વસ્તિક કોમ્પ્લેક્સ સુધી અને સહજાનંદ ત્રણ રસ્તાથી આગળ જમણી તરફ સુખસાગર કોમ્પ્લેક્સથી મોટેરા ગામ T પછી આવતા સુપ્રીમ મેન્સવેર દુકાન સુધીના રોડની બન્ને બાજુએ ફૂટપાથને સમાંતર 9-9 મીટર જેટલું બેરિકેટિંગ કરી રસ્તો 22 નવેમ્બર 2021થી 22 નવેમ્બર 2022 સુધી એટલે કે એક વર્ષના સમયગાળા દરમિયાન બંધ રહેશે.

રસ્તો બંધ થવાના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓની ચિંતા વધી છે. જોકે લોકોનું માનવું છે કે એકવાર અહીંની કામગીરી થઈ ગયા પછી નાગરિકોને તેનો ફાયદો થશે.