Site icon Revoi.in

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવજીના મંદિરમાં 10 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન,

Social Share

વેરાવળઃ શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણિમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં  ઊજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 390 ધ્વજા રોપણ, 510 સોમેશ્વર મહાપૂજન, 84 સવાલક્ષ બિલ્વપૂજા, 6865 રૂદ્રાભિષેક, 2,493 બ્રાહ્મણભોજન સહિતની પુજાવિધિ સાથે  4595 મહામૃત્યુંજય મંત્રજાપ  કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત 16,088 યાત્રીકો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 3,37,848 યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.

સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં 90 હજાર થી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી, આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમીયાન હજારો યાત્રીઓને ફલાહાર કરાવવામાં આવેલ.

શ્રાવણ માસ દરમિયાન યાત્રીકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પુજાવિધિ,ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ ,કાર્ડ સ્વાઇપ, દ્વારા 2.37 કરોડની રકમ અર્પણ કરવામાં આવેલ. 30.23 લાખની કુલ કિમતના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા ચાંદિના સીક્કા યાત્રીકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ્યા હતા. સોમનાથ મહદેવની પ્રસાદી સ્વજનો માટે સાથે લઈ જવા માટે યાત્રીઓમાં હમેશા ઉત્સાહ જોવા મળે છે. ત્યારે યાત્રીઓની સુલભતા માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ  કાઉન્ટર શરૂ કરાયા હતા, જેનો લાભ લઇ યાત્રીઓ પોતાના અને સ્વજનો માટે 3.23 કરોડનો પ્રસાદ સાથે લઇ ગયેલ હતા. મંદિરની પ્રસાદ, પુજાવિધી, ડોનેશન,ચાંદિના સીક્કા સહિતની કુલ આવક 5.90 કરોડ જેટલી થયેલ હતી.

શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડીયા મહત્વનું માધ્યમ બન્યુ હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર 45 દેશમાં વસતા 12.75 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્ય દર્શન અને એમના વિશેષ મહાત્મ્ય સમજાવતા વિડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ ત્રિરંગા લાઇટીંગની થીમ પર બનાવવામાં આવેલ એક રીલ ને ફેસબુક પર એક કરોડ થી વધુ રીચ મળી હતી. સાથે જ શિવભક્તિના ભજન-સ્તોત્ર પર વિવિધ ઓડીયો કંટેઇન ને ગ્રાફીકલી એડીટીંગ સાથે તૈયાર કરી સવારે ભક્તો માટે રીલીઝ કરવામાં આવતા હતા, જેમને પણ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. શ્રાવણ માસ દરમ્યાન ફેસબુક પર 7 કરોડ, યુટ્યુબ પર 2.80 કરોડ, ઇન્સ્ટાગ્રામ પર 1.94 કરોડ, ટ્વીટર પર 9 લાખ, કુ એપ પર 2.71 લાખ, સહિતના મળી કુલ 12.75 કરોડ દેશ-વિદેશમાં વસતા ભક્તો ઓનલાઇન દર્શન-આરતી-પુજામાં જોડાઇ ધન્ય બન્યા હતા.  શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાં વસતા 2,126 ભક્તોએ ઓનલાઈન પુજાનો ઓનલાઇન માધ્યમથી ઇ-સંકલ્પ કરી  હજારો કિમી દૂર બેસીને પણ સોમનાથના સાનિધ્યનો અનુભવ કર્યો હતો. શ્રાવણ દરમિયાન ટ્રસ્ટીગણ ના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી  યોગેન્દ્ર દેસાઇના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા સુંદર વ્યવસ્થામાં ગોઠવવામાં આવેલ હતી.