Site icon Revoi.in

10 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતાં બિઝનેશમાં E-ઈનવોઈસ ફરજિયાત,વેપારીઓ પરેશાન

Social Share

અમદાવાદઃ જીએસટીના આંટાઘૂંટીમાં હજુ પણ વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે જીએસટી વિભાગ દ્વારા 1 ઓકટોબરથી રૂ. 10 કરોડથી વધારે વાર્ષિક વેચાણ ધરાવતા હોય તેવા વેપારીઓને ઈ-ઈનવોઈસ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી વેપારીઓને પોતાના નાણાકીય સોફ્ટવેરમાં અને માલની લેવડ દેવડમાં જરૂરી ફેરફાર કરવા પડશે. જરૂરી માર્ગદર્શિકા ડિપાર્ટમેન્ટે જાહેર ન કરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, જીએસટીની આંટીઘૂંટી એવી છે, કે વેપારીઓને ફરજિયાત કન્સલ્ટનની મદદ લેવી પડે છે. વેપારીઓ બીલ બનાવતા હોય, પરંતુ આખરે તે તેમને નિષ્ણાત પાસે જવાની જરૂર પડી રહી છે. જીએસટી વિભાગ દ્વારા 1 ઓકટોબરથી રૂ. 10 કરોડથી વધારે વાર્ષિક વેચાણ ધરાવતા હોય તેવા વેપારીઓને ઈ-ઈનવોઈસ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે  હાલના તબક્કે આ નિર્ણય અવ્યવહારુ છે, તેનાથી વેપારીઓને ભારે તકલીફ થશે. હાલમાં આઇટી સર્વિસ અને પ્લેટફૉર્મ જ બરોબર નથી ત્યારે આ નવી જવાબદારીથી વેપારીઓ પહોંચી શકશે નહી અને અંતે આઇટીસી લેવામાં મુશ્કેલી ઊભી થશે. આ ઉપરાંત જો વેપારી જો નહી ભરે તો ભારે દંડની પણ જોગવાઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીએસટીમાં દરેક તબક્કે કોઇને કોઇ મુશ્કેલી ઊભી જ છે. ઉપરાંત વિભાગે સીધો રૂા. 10 કરોડના ટર્નઓવરનો નિર્ણય લીધો છે, તે પણ યોગ્ય નથી તેમાં હજુ રૂા. 25 કરોડનો સ્લેબ રાખ્યો હોત તો અનેક વેપારીઓને રાહત થઇ હોત. ઉપરાંત દરેક સ્થળોએ ઇ-નેટવર્ક હોય શકે તેવી પણ વ્યવસ્થા નથી. આ સંજોગોમાં આ નિર્ણય ઉતાવળો ગણી શકાય. આમ કરદાતાએ રૂા. 15થી 50 હજારનો વધારાનો ખર્ચ કરવો પડશે. એક તરફ ઈન્કમટેકસની રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તા. 30 સપ્ટેમ્બર છે, જ્યારે બીજી તરફ કરદાતાને જીએસટીના નવા કાયદાને લઇને જરૂરી સુધારા સોફટવેરમાં કરવા પડશે.

કર નિષ્ણાતોના કહેવા મુજબ રૂા. 10 કરોડની મર્યાદા એટલે ઓડિટમાં કવર થતા હોય તેવા દરેક કેસ આવી જશે. હાલમાં દરેક સીએ આમાં વ્યસ્ત છે. જે રૂા. 10 કરોડની મર્યાદા રાખવામાં આવી છે તેમાં મોટા ભાગના વેપારીઓને આવરી લેવાશે, જે હજારો લાખોની સંખ્યામાં હોઇ શકે છે. જ્યારે પણ માલનું વેચાણ થાય ત્યારે ઇ-ઇનવોઇસ નામનું ઇનવોઇસ ઉત્પન્ન થાય છે. વધુમાં એક વખત ઇ-ઇનવોઇસ બનાવ્યા પછી તેમાં ફેરફાર કરવો હોય તો તેમાં ઘણો ખુલાસો કરવો પડે છે.