Site icon Revoi.in

કેળાના ભાવ આસમાને પહોચ્યા બાદ તળિયે બેસી જતાં ખેડુતોએ ટેકાના ભાવ જાહેર કરવા કરી માગ

Social Share

સુરત :   શ્રાવણ મહિના દરમિયાન કેળાના ભાવ 390 રૂપિયાની ઐતિહાસિક સપાટી પર પહોચ્યા બાદ ફરી તળિયે આવ્યા છે. મહિના પહેલા પ્રતિ 20 કિલાના 350થી 400ના ભાવે વેચાતા કેળાના ભાવ ગગડીને હવે પ્રતિ 20 કિલોના ભાવ 150થી 200 જેટલા ઉપજી રહ્યા છે. એટલે કેળાના ભાવમાં અડધો અડધ ઘટાડો થતાં ખેડુતો સરકાર પાસે ટેકાના ભાવની માગણી કરી રહ્યા છે.

શ્રવણ મહિનો અને સાતમ-આઠમના તહેવારોમાં કેળાના ભાવ વધતા ખેડુતોમાં ખૂશી જોવા મળતી હતી. ત્યારબાદ કેળાના ભાવમાં ક્રમશઃ ઘટાડા થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોને હાલ કેળાના ભાવ રડાવી રહ્યા છે. શરૂઆતમાં તહેવારો ચાલુ થયા ત્યારે કેળાના ભાવ 200 થી 250 હતા, ત્યારબાદ કેળાની માંગ વધતા ભાવ વધીને 390 થી લઇ 450 રૂપિયા મણ સુધી પહોચી ગયા હતા. લગભગ એક મહિના સુધી ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા. જે કદાચ કેળાના ઈતિહાસમાં સૌથી વધુ ભાવ હતા. પરંતુ છેલ્લા સપ્તાહથી ફરીથી કેળાના ભાવ 150 થી 200 થઇ ગયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  અત્યારના સમયમાં સુરત જિલ્લામાં ખેડૂતો સૌથી વધુ ત્રાસ જંગલી ભૂંડનો સહન કરી રહ્યા છે, ત્યારે કેળાનો પાક પણ તેમાંથી બાકાત નથી. એક તરફ ઘટી ગયેલા કેળાના ભાવ અને બીજી યુરીયા ખાતરના ભાવમાં તોતિંગ વધારો ઉપરથી જંગલી ભૂંડનો અસહ્ય ત્રાસ, કેળાના એક ટીસ્યુ ( છોડ ) ની કીમત 20 થી 30 રૂપિયા અને તેને રોપણી અને ખાતર નાખ્યા બાદ એક ટીસ્યુ લગભગ 70 થી 80 રૂપિયામાં પડે, પરંતુ જંગલી ભૂંડ છાશવારે આ કેળાના ટીસ્યુનો નાશ કરી ખેડૂતોને મોટું નુકશાન કરી રહ્યા છે. ત્યારે થોડા સમય માટે કેળાના વધેલા ભાવ જાણે ખેડૂતો માટે દિવાસ્વપ્ન બનીને આવ્યા હતા. પરંતુ ફરી સપ્તાહમાંજ  ભાવ તળીયે આવી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

કામરેજ વિભાગ ફ્રુટ એન્ડ વેજીટેબલ કો.ઓ. મંડળી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કેળાની લેવેચ કરતી મંડળીઓ છે. મંડળીના સેક્રેટરીની વાત માનીએ તો પંજાબ અને રાજસ્થામાં કેળાનો ઓછો પાક થતા કેળાની ડીમાંડ ખુબ જ વધી ગઈ હતી. અને જેને લઇ ગુજરાતના કેળાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચી ગયા હતા. બીજી તરફ હવે રાજસ્થાન અને પંજાબમાં પણ કેળાનો પાક ઉતરવાનું શરુ થઇ ગયું છે. જેને લઇ ગુજરાતમાં ડિમાન્ડ ઘટતા કેળાના ભાવ તળિયા ગયા છે. જોકે વધેલા ભાવ દરમિયાન જેટલા ખેડૂતોના કેળાનો પાક લેવાઈ ગયો છે. એમને ખુબ જ ફાયદો થયો છે એ વાત ચોક્કસ છે.

ગુજરાતમાં હાલ રાજ્ય સરકાર દ્વારા શેરડી તેમજ કેટલાક એવા પાકો છે. જેના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે કેળા પકવતા ખેડૂતો પણ ફળોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ઉપરાંત આખા દક્ષિણ ગુજરાતમાં જંગલી ભૂંડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેતરને વાડ કરવા માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે એવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે.