Site icon Revoi.in

ગુજરાતમાં ઓક્ટોબર માસમાં 72 લાખથી વધુ કુટુંબોને અનાજ વિતરણ કરાયું: મંત્રી કુંવરજી બાવળીયા

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરીયાત મંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે ઓક્ટોબર-2023 માં રાજ્યના 72.51 લાખ NFSA કુટુંબોને એટલે કે અનાજનું ૯૫ ટકા વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓક્ટોબર માસમાં બાકી રહી ગયેલા કાર્ડ ધારકોને નવેમ્બર માસમાં અનાજ આપવામાં આવશે. આ ઉપરાંત, આગામી તહેવારો નિમિત્તે નવેમ્બર-2023નો મળવાપાત્ર જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જેની વિતરણ વ્યવસ્થાનો પણ રાબેતા મુજબ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેનો લાભાર્થી કુટુંબોએ મહત્તમ લાભ લેવા પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અનુરોધ કર્યો છે.

પુરવઠા મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકાર દ્વારા આગોતરું આયોજન કરી “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013’ હેઠળના રેશનકાર્ડધારકોને રાહત દરે કાર્ડદીઠ 1 લિટર સીંગતેલ તથા અંત્યોદય અને BPL રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ વધારાની 1 કિ.ગ્રા. ખાંડનું ઓક્ટોબર-2023 માં વિતરણ કરાયું છે.  ઓક્ટોબર માસમાં 73,000 મે.ટન ઘઉં, 1.05 લાખ મે.ટન ચોખા, ખાદ્યતેલ-સીંગતેલના એક લીટરના 67 લાખ પાઉચ, 8,500 મે. ટન ખાંડ 5,000 મે.ટન ચણા અને 3,300 મે.ટન ડબલફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, કોઈ કાર્ડધારક દિવાળીના તહેવારમાં રાજ્ય સરકારની સસ્તા અનાજની યોજનાથી બાકાત રહે નહી તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ગત સપ્ટેમ્બર-૨૦૨૩માં સસ્તા અનાજના દુકાનદાર એસોસિયનના હોદેદારો સાથે થયેલી બેઠકમાં નક્કી થયા મુજબ ગત સપ્ટેમ્બર 2023 ના માસનું તમામ જિલ્લાના વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ કમિશન 20,000 રૂ. પેટે 3.53 કરોડ રૂ. થી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ સિવાય પણ પ્રજાના હિતમાં સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે તેમ, પણ મંત્રીએ ઉમેર્યું હતું.

Exit mobile version