Site icon Revoi.in

દિવાળીના વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે વધુ ચાર ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે.  દિવાળીના તહેવારોની રજાઓમાં અનેક લોકો ફરવા જતાં  હોય છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં સાબરમતી-દાનાપુર, વડોદરા-હરિદ્વાર, વડોદરા-ગોરખપુર, ડો. આંબેડકર નગર-પટના અને અમદાવાદ-સમસ્તીપુર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સામેલ છે. રેલવેના આ નિર્ણયથી આશરે 6 લાખ યાત્રિકોને ફાયદો થશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ  દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ ફેસ્ટિવલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09403 સાબરમતી-દાનાપુર સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સવારે 8.15 કલાકે સાબરમતીથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2.15 કલાકે દાનાપુર પહોંચશે. આ ટ્રેન 12 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી ચાલશે. આ રીતે 09404 દાનાપુર-સાબરમતી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સાંજે 6 કલાકે દાનાપુરથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 11.30 કલાકે સાબરમતી પહોંચશે.  આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ, પંડિત દીન દયાળ ઉપાધ્યાસ, બક્સર અને આરા સ્ટેશનો પર સ્ટોપેજ કરશે.

આ ઉપરાંત ટ્રેનનંબર 09129 વડોદરા-હરિદ્વાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સાંજે 7 કલાકે વડોદરાથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 2.30 કલાકે હરિદ્વાર પહોંચશે. આ ટ્રેન 11 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. તો ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સુપરફાસ્ટ ટ્રેન દર રવિવારે સાંજે હરિદ્વારથી ઉપડશે. આ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા, હરઝત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર, ટપરી અને રૂકડી સ્ટેશનો પર રોકાશે.